નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: લંડનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક, અંતિમ પ્રક્રિયા શરૂ

April 15, 2026

પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને દેશમાંથી ભાગી ગયેલા નીરવ મોદીના પ્રત્યાર્પણનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. પ્રત્યાર્પણને લઈને અત્યાર સુધી જે પણ કાયદાકીય અડચણો હતી તે હવે દૂર થઈ ગઈ છે.

બ્રિટનમાં નીરવ મોદી પાસે કાયદામાંથી બચવા માટેના તમામ વિકલ્પો હવે પૂરા થઈ ગયા છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ની એક ખાસ ટીમ લંડન પહોંચી ગઈ છે. સીબીઆઈની આ ટીમે લંડનમાં બ્રિટનના ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ સાથે બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ નીરવ મોદીના પ્રત્યાર્પણ સાથે જોડાયેલી અંતિમ પ્રક્રિયા અને સુરક્ષાના મુદ્દાઓને તપાસવાનો હતો. એવી પૂરી શક્યતા છે કે નીરવ મોદી ટૂંક સમયમાં ભારત પરત ફરશે અને તેની સામે કડક કાયદાકીય પગલાં લેવાશે.

લંડનમાં જરૂરી કાર્યવાહી પૂરી કરીને CBIની આ ટીમ ભારત પરત આવશે. ત્યારબાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે ફાઈનલ ઑપરેશન કરીને પ્રત્યાર્પણને અંજામ આપવામાં આવશે. જો આ ઑપરેશન સફળ થશે તો તે કેન્દ્ર સરકારની એક મોટી સિદ્ધિ ગણાશે. લંડનથી પરત આવ્યા બાદ આ ટીમ આશરે બે અઠવાડિયામાં જ સ્ટ્રાસબર્ગમાં આવેલી યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સમાં જશે. આ કોર્ટમાં નીરવ મોદીના કેસની સંપૂર્ણ દલીલ રજૂ થશે, જેના માટે જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે.