મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ

June 05, 2026

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સ્થાપના પછી તે અત્યાર સુધીની સૌથી મોટી કટોકટીનો સામનો કરી રહી છે. પરિસ્થિતિ એવી છે કે, પક્ષના વર્તમાન સાંસદો અને ધારાસભ્યો તો ઠીક, પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યો પણ મમતા બેનર્જીની બેઠકમાં બોલાવવા છતાં હાજર રહ્યા નહોતા. મમતા બેનર્જી વિધાનસભા ચૂંટણી હારી જતાં જ તેમના નેતાઓ તેમનાથી દૂર થવા લાગ્યા છે. ધારાસભ્યો બાદ હવે સાંસદોએ પણ તેમને મોટો ઝટકો આપ્યો છે. મમતા બેનર્જીએ આજે એક મહત્વની બેઠક બોલાવી હતી, પરંતુ 41 માંથી માત્ર 5 સાંસદો જ ત્યાં પહોંચ્યા હતા. લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના કુલ 29 સાંસદો છે, જેમાંથી 1 સાંસદનું અવસાન થયું હોવાથી હવે, લોકસભામાં કુલ 28 સાંસદો બચ્યા છે. આ 28 સાંસદોમાંથી માત્ર 3 સાંસદો જ મમતાની બેઠકમાં આવ્યા હતા. બીજી તરફ, રાજ્યસભામાં પક્ષના કુલ 13 સાંસદો છે, જેમાંથી માત્ર બે જ સાંસદો મમતા બેનર્જીની બેઠકમાં હાજર રહ્યા હતા.


બીજી તરફ, આ વખતે તૃણમૂલ કોંગ્રેસના કુલ 80 ધારાસભ્યો જીત્યા છે. જેમાંથી બાગી (બળવાખોર) જૂથમાં 58 ધારાસભ્યો સામેલ છે (જેમાં પક્ષમાંથી હાંકી કઢાયેલા 2 ધારાસભ્યો પણ છે). આ સિવાય બચેલા 22 ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યની પોલીસે અગાઉથી જ ધરપકડ કરેલી છે. મમતા બેનર્જીને આશા હતી કે બાકીના 21 ધારાસભ્યો તો તેમની બેઠકમાં ચોક્કસ આવશે, પરંતુ અહીં પણ મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. તેમની આ બેઠકમાં માત્ર 8 ધારાસભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા.