રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો, ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને 'એક્સ્ચેન્જ ઓફર'

March 03, 2026

મહારાષ્ટ્રની રાજનીતિમાં રાજ્યસભાની ખાલી પડનારી એક બેઠકને લઈને મહાવિકાસ આઘાડી (MVA) માં હલચલ તેજ થઈ છે. રાજ્યસભાની ચૂંટણી મામલે કોંગ્રેસ હવે સક્રિય થઇ ચુકી છે. અનેક સોગઠાઓ ગોઠવી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની છે.  મહારાષ્ટ્રમાં રાજ્યસભાની એક ખાલી થઈ રહેલી બેઠક પર કોંગ્રેસે પોતાનો દાવો રજૂ કર્યો છે અને ઉદ્ધવ ઠાકરે પાસે સમર્થન માંગ્યું છે. આ માત્ર એક બેઠકની લડાઈ નથી, પરંતુ રાજ્યસભામાં કોંગ્રેસના 'વિરોધ પક્ષના નેતા' (LoP) નું પદ બચાવવાની રાજકીય અને ટેકનિકલ મજબૂરી પણ છે.

રાજ્યસભાના નિયમો મુજબ, વિરોધ પક્ષના નેતાનું પદ જાળવી રાખવા માટે કોઈપણ પક્ષ પાસે ગૃહની કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછા 10% એટલે કે 25 સભ્યો હોવા ફરજિયાત છે. કોંગ્રેસ માટે ચિંતાજનક બાબત છે કે, આ વર્ષે રાજ્યસભાની 72 બેઠકો પર યોજાનારી ચૂંટણીઓ પછી કોંગ્રેસની સંખ્યા 25 થી નીચે જવાનો ભય છે. ખાસ કરીને જૂન મહિનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જો કોંગ્રેસ પૂરતી બેઠકો જીતી ન શકે, તો તે ગૃહમાં વિરોધ પક્ષના નેતાનો સત્તાવાર દરજ્જો ગુમાવી શકે છે.

મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસના સાંસદ રજની પાટીલનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત અભિષેક મનુ સિંઘવી, ફૂલોદેવી નેતામ અને કે.ટી.એસ. તુલસી જેવા દિગ્ગજોનો કાર્યકાળ પણ આ વર્ષે પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં, મહારાષ્ટ્રની આ બેઠક કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી એક મોટો પ્રસ્તાવ મૂક્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, જો ઉદ્ધવ ઠાકરે આ રાજ્યસભા બેઠક કોંગ્રેસને આપે, તો બદલામાં વિધાન પરિષદ (MLC) ની ખાલી પડનારી બેઠક કોંગ્રેસ તેમને આપવા તૈયાર છે. ચેન્નીથલાનો તર્ક છે કે, આનાથી રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધન મજબૂત થશે અને મલ્લિકાર્જુન ખડગેનું પદ સુરક્ષિત રહેશે.