નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

October 08, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે(8 ઓક્ટોબર) રૂ.19,650 કરોડના ખર્ચે બનેલા નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે જ મુંબઈને પોતાનું બીજું એરપોર્ટ મળી ગયું. તે તમામ ડિજિટલ સુવિધાઓ પ્રદાન કરશે. આ ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ છે જે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ હેઠળ વિકસાવવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશમાં બીજા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે, NMIA ભીડ ઘટાડવા અને મુંબઈને ગ્લોબલ મલ્ટી-એરપોર્ટ સિસ્ટમ (GMS) માં એકીકૃત કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) સાથે સહયોગમાં કામ કરશે.

એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર હાજર રહ્યા. આ 'ડીબી પાટિલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ'ના નામથી ઓળખાશે. તેની સાથે જ મુંબઈ મેટ્રોની લાઈન-3 (એક્વા લાઇન)ના અંતિમ તબક્કાનું પણ ઉદ્ધાટન કરાયું.

ઉદ્ઘાટન બાદ પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આજે મુંબઈને જેની રાહ હતી તે પૂર્ણ થઈ. મુંબઈને હવે પોતાનું બીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ મળી ગયું છે. આ એરપોર્ટ, આ વિસ્તારને એશિયાની સૌથી મોટી કનેક્ટિવિટી હબ તરીકે સ્થાપિત કરવામાં મોટી ભૂમિકા નિભાવશે. આજે મુંબઈને સંપૂર્ણ રીતે અંડરગ્રાઉન્ટ મેટ્રો પણ મળી ગયું છે, તેનાથી મુંબઈની સફર વધુ સરળ થશે અને લોકોનો સમય પણ બચશે.'

તેમણે કહ્યું કે, 'આ સમયે ભારતના નવયુવાનો માટે અગણિત અવસરોનો સમય છે. તાજેતરમાં દેશના અસંખ્ય ITI ને ઇન્ડસ્ટ્રીઝથી જોડવા માટે ₹60,000 કરોડની PM સેતુ યોજના શરૂ કરવામાં આવી હતી. આજથી મહારાષ્ટ્ર સરકારે સેંકડો ITI અને ટેકનિકલ શાળાઓમાં એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. આનાથી શાળાના બાળકોને ડ્રોન, સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવી અસંખ્ય નવી તકનીકોમાં તાલીમ મળી શકશે. હું મહારાષ્ટ્રના યુવાનોને મારી શુભકામનાઓ પાઠવું છું.'