પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું કર્યું લોકાર્પણ: ભારતીય સંસ્કૃતિની ભવ્ય ધરોહર ગણાવી

April 01, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રી મહાવીર પ્રભુ જન્મકલ્યાણકના પવિત્ર અવસરે અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ આ મ્યુઝિયમને જૈન દર્શન અને ભારતીય સંસ્કૃતિનું પવિત્ર કેન્દ્ર ગણાવ્યું હતું.

સભાને સંબોધતા વડાપ્રધાને આચાર્ય કૈલાશસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબને વંદન કરતા જણાવ્યું કે, તેમના સપના થકી જ કોબામાં જ્ઞાન અને શ્રદ્ધાનું આ મહાન કેન્દ્ર સ્થપાયું છે. કોબા તીર્થમાં વર્ષોથી અધ્યયન, સાધના અને સંયમની પરંપરા જળવાઈ રહી છે. આપણી હજારો વર્ષ જૂની વિરાસત અને જૈન ધર્મના જ્ઞાનને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવા માટે સંતોએ આ મ્યુઝિયમની જે સંકલ્પના કરી હતી, તે આજે ભવ્ય રૂપમાં સાકાર થઈ છે.

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે, સમ્રાટ સંપ્રતિ માત્ર એક રાજા ન હતા, પરંતુ તેમણે સત્તાને સેવા માનીને અહિંસાનો વિસ્તાર કર્યો હતો. આ મ્યુઝિયમની ૭ દીર્ઘાઓ ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઓળખ કરાવે છે. અહીં જૈન ધર્મની સાથે વૈદિક અને બૌદ્ધ પરંપરા, આયુર્વેદ તથા યોગદર્શનની પણ અદ્ભુત પ્રસ્તુતિ છે. વિભિન્ન પરંપરાઓનો આ સંગમ ભારતની 'વિવિધતામાં એકતા'ની તાકાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.