Breaking News :
મલેશિયાના કમ્પોન્ગ બહાગિયામાં મોડી રાત્રે ભીષણ આગ: 1000 ઘરો બળીને ખાખ થતા 9000 લોકો બેઘર દેશભરમાં હીટવેવનો પ્રકોપ અને ગુજરાતમાં માવઠાની શક્યતા: તાપમાનમાં વધારા વચ્ચે વાતાવરણ પલટાશે દિલ્હીમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું: પાડોશીએ 34 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા બંગાળમાં પીએમ મોદીનું અલ્ટિમેટમ: 'ગુંડાઓ શરણાગતિ સ્વીકારે, પરિણામ બાદ કોઈને છોડવામાં આવશે નહીં' મહિલા સશક્તિકરણ માટે સરકાર મક્કમ : ૨૦૨૯ની ચૂંટણી પહેલાં ૩૩ ટકા અનામત લાગુ કરવા કાયદાકીય વિકલ્પોની શોધ શરૂ ચારધામ યાત્રાનો પ્રારંભ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખૂલ્યા : ૧૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન

બંગાળમાં પીએમ મોદીનું અલ્ટિમેટમ: 'ગુંડાઓ શરણાગતિ સ્વીકારે, પરિણામ બાદ કોઈને છોડવામાં આવશે નહીં'

April 20, 2026

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા હતા. બાંકુરા ખાતે એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાને TMCના ગુંડાઓ અને સિન્ડિકેટને સ્પષ્ટ અલ્ટિમેટમ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીનાં પરિણામો પહેલાં જ આવા તત્ત્વો શરણાગતિ સ્વીકારી લે, અન્યથા પરિણામો બાદ તેમને બિલકુલ બક્ષવામાં આવશે નહીં. પીએમ મોદીના આ આક્રમક તેવરથી બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

વડાપ્રધાને મમતા બેનર્જીની સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સંસદમાં મહિલા અનામત બિલનો વિરોધ કરીને TMCએ દેશ અને બંગાળની મહિલાઓ સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ એ જ TMC સરકાર છે જે ઘૂસણખોરોના ફાયદા માટે વારંવાર કાયદાઓ તોડે છે અને બંધારણની ભાવના વિરુદ્ધ જઈને ધર્મ આધારિત અનામતને પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ અને TMCએ મળીને મહિલાઓને ૩૩ ટકા અનામતથી વંચિત રાખવાનું કાવતરું ઘડ્યું છે, જે બદલ જનતા તેમને આ ચૂંટણીમાં સખત સજા આપશે.

બંગાળમાં હિંસા અને ભ્રષ્ટાચારના મુદ્દે આક્રમક વલણ અપનાવતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, TMCના નેતાઓની ધમકીભરી ભાષા અને તેમનો ફફડાટ જ સાબિત કરે છે કે તેઓ પોતાની હાર ભાળી ગયા છે. તેમણે છેલ્લી તક આપતા ચેતવણી ઉચ્ચારી હતી કે ૨૯ એપ્રિલ પહેલાં તમામ ગુંડાઓ અને ભ્રષ્ટ તત્ત્વો નજીકના પોલીસ સ્ટેશનમાં શરણાગતિ સ્વીકારી લે. જો તેઓ તેમ નહીં કરે તો ૪ મેના રોજ પરિણામો જાહેર થયા બાદ કોઈને પણ છોડવામાં આવશે નહીં. બિષ્ણુપુરના માફિયા અને સિન્ડિકેટ રાજ પર પ્રહાર કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હવે રાજ્યમાં આવો અત્યાચાર વધુ સમય સહન કરવામાં આવશે નહીં.