ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા

June 21, 2026

નાગરાસુ ગુરુદ્વારામાં તણાવપૂર્ણ સ્થિતિ, ITBPની ટીમો દ્વારા સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ

રુદ્રપ્રયાગ- ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના નાગરાસુ સ્થિત ગુરુદ્વારામાં છેલ્લા 24 કલાકથી ચાલી રહેલો વિવાદ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હેમકુંડ સાહિબ યાત્રા માર્ગ પર આવેલા આ ગુરુદ્વારામાં કેટલાક નિહંગ તીર્થયાત્રીઓ દ્વારા કબજો જમાવ્યા બાદ સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધાળુઓને નિહંગ યાત્રીઓએ બંધક પણ બનાવી દીધા છે. હાલમાં વહીવટીતંત્ર ઘટનાસ્થળે હાજર છે. પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર ઉકેલ આવી શક્યો નથી. ગુરુદ્વારા પ્રબંધન અને નિહંગ યાત્રીઓ વચ્ચેના વિવાદ બાદ કેટલાક નિહંગો ગુરુદ્વારાની છત પર ચઢી ગયા હતા. ત્યારબાદ તેમણે પરિસર પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એવો પણ આરોપ છે કે આ દરમિયાન સેવાદારો સાથે મારપીટ અને અભદ્ર વર્તનની ઘટનાઓ પણ સામે આવી છે.


ઘટનાની માહિતી મળતા જ પોલીસ, વહીવટીતંત્ર અને ITBPની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે વિસ્તારમાં વધારાની સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. વહીવટીતંત્ર સતત વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ 24 કલાક વીતી ગયા પછી પણ મડાગાંઠ યથાવત છે. સ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે રુદ્રપ્રયાગ અને શ્રીનગર વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દીધી છે, જેથી સોશિયલ મીડિયા દ્વારા કોઈપણ પ્રકારની અફવા ન ફેલાઈ શકે. હાલમાં નાગરાસુ ગુરુદ્વારામાં ચાલી રહેલો આ વિવાદ વહીવટીતંત્ર માટે મોટો પડકાર બની ગયો છે.