'ટી20-વનડેમાં આરામ આપો, ટેસ્ટ ક્રિકેટ તો સૌથી જરૂરી', બુમરાહ મુદ્દે કેમ ગંભીર પર ભડક્યો ડી વિલિયર્સ?

June 30, 2025

હેડિંગ્લીમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન અદ્ભુત હતું. જસપ્રીત બુમરાહએ પહેલી ઇનિંગમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું અને 5 વિકેટ લીધી હતી. જોકે, હાર છતાં કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું હતું કે બુમરાહ ફક્ત ત્રણ ટેસ્ટ મેચમાં જ ટીમનો ભાગ રહેશે. અહેવાલો અનુસાર, એજબેસ્ટનમાં રમાનારી બીજી ટેસ્ટમાં બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. જોકે, એબી ડી વિલિયર્સ ભારતીય ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી નારાજ છે. ડી વિલિયર્સનું કહેવું છે કે, 'બુમરાહને પાંચેય ટેસ્ટ મેચમાં પ્લેઇંગ 11નો ભાગ હોવો જોઈએ.' દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે એબી ડી વિલિયર્સે તેની યુટ્યુબ ચેનલ પર જસપ્રીત બુમરાહના વર્કલોડનું સંચાલન કરતી વખતે સિરીઝની બધી મેચ કેવી રીતે રમી શકે છે તે અંગે વાત કરી હતી. આ દરમિયાન, તેણે તેના ભૂતપૂર્વ સાથી ડેલ સ્ટેનનું ઉદાહરણ આપતા કહ્યું કે, 'જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ સામેની આખી સિરીઝ રમવા માટે તૈયાર રહેવું જોઈતું હતું. અમે ડેલ સ્ટેનને ઓછી મહત્ત્વપૂર્ણ T-20 અને ODI સિરીઝમાં આરામ આપતા હતા, જેથી તે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ભારત જેવા મોટા પ્રવાસ માટે ફિટ રહી શકે. ભારત પણ બુમરાહ સાથે આવું જ કરી શકે છે. ઇંગ્લેન્ડ સિરીઝથી મોટું કંઈ નથી.' ડી વિલિયર્સ વધુમાં કહ્યું કે, 'કદાચ સર્જને બુમરાહને કહ્યું હશે કે તે પાંચેય મેચ રમી શકશે નહીં. જો એવું હોય, તો તમારે આ નિર્ણયનું સન્માન કરવું પડશે. પરંતુ જો વાત વર્કલોડની હોય, તો મને ખાતરી નથી કે તેણે તેને યોગ્ય રીતે લીધું છે.' ડી વિલિયર્સે આગ્રહ કર્યો કે બુમરાહને ઇંગ્લેન્ડ સામેની બાકીની મેચમાં રમવું જોઈએ, ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ કરતાં કઈ મોટું ન હોઈ શકે - કદાચ WTC ફાઇનલ સિવાય. જો તે ફિટ હોય, તો તેણે રમવું જ જોઈએ. જો નહીં, તો હું સાવચેતી સમજી શકું છું.'