ધર્મના નામે રસ્તા રોકી શકાય નહીં, દરેક સંસ્થામાં નિયમો હોવા જરૂરી: સુપ્રીમ કોર્ટ

April 29, 2026

 

સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ સહિતના વિવિધ મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે દરેક ધાર્મિક સંસ્થાના ચોક્કસ નિયમો હોવા જોઈએ અને સંચાલનનો અર્થ અરાજકતા ન હોઈ શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ધાર્મિક કાર્યોના નામે જાહેર રસ્તાઓ રોકી શકાય નહીં. મુખ્ય ન્યાયાધીશ સહિત 9 ન્યાયાધીશોની બંધારણીય બેંચ આ મામલે સંયુક્ત સુનાવણી કરી રહી છે.

સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અમાનુલ્લાહે જણાવ્યું હતું કે મેનેજમેન્ટનો અર્થ એ નથી કે ત્યાં કોઈ માળખું કે નીતિ-નિયમો જ ન હોય. મંદિર હોય કે દરગાહ, દરેક પૂજા કે ઇબાદત માટે ચોક્કસ રીત હોવી જોઈએ અને કોઈ પોતાની મનમરજી ન ચલાવી શકે. કોર્ટે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે ધાર્મિક નિયમો બંધારણથી ઉપર ન હોઈ શકે અને તેમાં પણ બંધારણનું પાલન થવું અનિવાર્ય છે. કોઈપણ પ્રકારનો ભેદભાવ ચલાવી લેવામાં આવશે નહીં અને આ મામલે સુનાવણી આગળ પણ ચાલુ રહેશે.