પક્ષી ટકરાવાથી નહીં, રશિયાએ તોડી પાડ્યું હતું વિમાન- રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ

December 29, 2024

અઝરબૈજાન : અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે રવિવારે દાવો કર્યો કે, કઝાકિસ્તાનમાં હાલમાં બનેલી વિમાન દુર્ઘટનામાં 38 લોકોના મોત થયા હતા, આ વિમાન દુર્ઘટના પક્ષી ટકરાવાના કારણે નહીં, પરંતુ રશિયાની જમીનથી ફાયરિંગના કારણે બની હતી. 


સમાચાર એજન્સી રોયટર્સે અઝરબૈજાનના સરકારી ટેલીવિઝનના હવાલાથી જણાવ્યું કે, વિમાન પર રશિયા દ્વારા હુમલા કરાયા હતા, પરંતુ તેમણે આ જાણીજોઈને નહોતા કર્યા. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ અલીયેવે આ ઘટના પર દુઃખ પણ વ્યક્ત કર્યું છે અને તેમણે રશિયા પર ઘણાં દિવસો સુધી આ મુદ્દાને દબાવી રાખવાના પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. રશિયામાં દુર્ઘટનાના કારણો અંગે ખોટી વાતો ફેલાવીને સત્ય દબાવવાનો પ્રયાસ કરનારની ટીકા કરી હતી.

અલીયેવે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, રશિયામાં કેટલાક હલકાઓએ અઝરબૈઝાન એરલાઈન્સના વિમાનની દુર્ઘટના પાછળના સત્યને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો અને ખોટી વાતો ફેલાવાઈ રહી હતી.
અઝરબૈઝાનના રાષ્ટ્રપતિની આ ટિપ્પણી વ્લાદિમીર પુતિન દ્વારા દુર્ઘટના માટે માફી માગવાના એક દિવસ બાદ આવી છે, તેમણે આને 'દુઃખદ ઘટના' કહી જે રશિયાના હવાઈ ક્ષેત્રમાં બની હતી, જ્યાં યુક્રેનના ડ્રોનના જવાબમાં રશિયાની એ સિક્યોરિટી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ. રોયટર્સના રિપોર્ટ અનુસાર, ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું કે, 'વ્લાદિમીર પુતિને રશિયાના હવાઈ ક્ષેત્રમાં બનેલી દુઃખદ ઘટના માટે માફી માગી અને એકવાર ફરી પીડિતોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી. આ સાથે ઈજાગ્રસ્તોના જલ્દીથી સાજા થવાની પ્રાર્થના કરી.'