એક શોક સંદેશ બાદ ભારત માટે ખુલ્યો સ્ટ્રેટ ઑફ હોર્મુઝનો રસ્તો! ગ્લોબલ ટેન્શન વચ્ચે ખાસ મંજૂરી

March 20, 2026

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા 20 દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે મધ્ય-પૂર્વના દેશો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જોકે આ યુદ્ધ વચ્ચે ભારતે પોતાની સચેત કૂટનીતિથી એક મોટી સફળતા હાંસલ કરી છે. જ્યારે વિશ્વની નજર યુદ્ધના મેદાનમાં હતી, ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયની કૂટનીતિથી દેશ એક મોટા આર્થિક અને ઊર્જા સંકટમાંથી બહાર આવ્યું છે. ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો હોવા છતાં ભારત પોતાના બે LPG ટેન્કરોને ત્યાંથી સુરક્ષિત લાવવામાં સફળ થયું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, આ કૂટનીતિની શરૂઆત માર્ચમાં શરૂ થઈ હતી. આ દરમિયાન અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો હતો. એકતરફ પશ્ચિમી દેશોની નજર આ ઘટનાઓ પર હતી, તો બીજીતરફ ભારતે દેશ માટે સૌથી મહત્ત્વનું કૂટનીતિક પગલું ભર્યું હતું.


ખામેનેઈના મોત બાદ પાંચમી માર્ચે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી નવી દિલ્હીમાં ઈરાની દૂતાવાસ ગયા હતા. તેમણે અહીં ખામેનેઈની તસવીર પાસે બેસીને શોક પુસ્તક પર હસ્તાક્ષર કરીને ભારત સરકાર તેમજ પ્રજા તરફથી સંવેદના વ્યક્ત કરી હતી. તે જ દિવસે વિદેશ મંત્રી એસ.જયશંકરે પોતાના ઈરાની સમકક્ષ સાથે ફોન પર લાંબી ચર્ચા કરી હતી. આમ આ ભારત-ઈરાન વચ્ચેના એવા સંબંધોની કૂટનીતિ હતી, જેનાથી ભારતના લાખો ઘરોમાં ગેસ અટકતો બચી ગયો છે.