પત્નીના ચારિત્ર્ય પર શંકાએ પિતાએ બેંગલુરુમાં તાજ હોટેલમાં રૂમ બુક કરાવી બે દીકરીઓની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

August 12, 2026

બેંગલુરુમાં 40 વર્ષના એસ. જી. ઇમરાને કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકની ફાઇવસ્ટાર તાજ હોટેલમાં પોતાની બે માસૂમ પુત્રીઓની હત્યા કર્યા બાદ પોતાનું ગળું ચીરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મૃતકોમાં 10 વર્ષની શેખા ઝોયા અને 5 વર્ષની શેખા ઝેહરાનો સમાવેશ થાય છે. બંને બાળકીઓનું ગળું દાબી હત્યા કરાઈ હતી.

પોલીસને ઘટનાસ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેની પત્નીના લગ્નેતર સંબંધો અને કૌટુંબિક વિવાદોનો ઉલ્લેખ હતો. આ હસ્તલિખિત નોટ અનુસાર ઇમરાનને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી અને તે વૈવાહિક ઝઘડાથી વ્યથિત હતો. તેણે લખ્યું હતું કે તે ઇચ્છતો નથી કે તેના બાળકો આવી માતા સાથે રહે.

ઇમરાન નોર્થ બેંગલુરુના નાગવારા વિસ્તારનો રહેવાસી છે અને એક કેબ સર્વિસ કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. તેને ગંભીર અવસ્થામાં મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સાંજે તે બંને દીકરીઓ સાથે હોટેલમાં આવ્યો હતો. દીકરીઓની હત્યા કર્યા બાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પણ પીડાથી બૂમો પાડતા સ્ટાફે દરવાજો ખોલ્યો હતો.

બે દીકરીઓ પલંગ પર મૃત અવસ્થામાં મળી આવી હતી અને ઇમરાન બાથરૂમમાં લોહીના ખાબોચિયામાં મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હોટેલ સ્ટાફના નિવેદનો લેવાઈ રહ્યા છે અને સુસાઇડ નોટની પણ તપાસ કરાઈ રહી છે.