ટીમ ઈન્ડિયાનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે આગામી મેચ

February 16, 2026

વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનને હરાવ્યા બાદ હવે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે બુધવારે (18 ફેબ્રુઆરી) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ત્યારે આ મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ચૂકી છે. અમદાવાદ એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાના પ્લેયર્સનું ફેન્સે ભવ્ય સ્વાગત કરાયું છે. ટીમ ઈન્ડિયા એરપોર્ટથી સીધા વસ્ત્રાપુર ખાતે આવેલી ITC નર્મદા હોટલ પહોંચી છે.

ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરતા ત્રીજી જીત હાંસલ કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી પોતાની ત્રણ મેચોમાં યુએસ, નામીબિયા અને પાકિસ્તાનને માત આપી છે. 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાનને હરાવતાની સાથે જ ટીમ ઈન્ડિયાએ ગ્રુપ Aથી સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના આગામી રાઉન્ડમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાને ગ્રુપ Aની પોતાની છેલ્લી મેચ નેધરલેન્ડ્સ વિરૂદ્ધ અમદાવાદમાં રમવાની છે. આ મેચનું પરિણામ ટીમ ઈન્ડિયાના સુપર 8ની મેચો પર કોઈપણ રીતે અસર નહીં કરે. જોકે, નેધરલેન્ડ્સ સાથે ટીમ ઈન્ડિયાને ટક્કર મળવાની શક્યતાઓ છે. નેધરલેન્ડ્સે પાકિસ્તાનને ટક્કર આપી હતી પરંતુ છેલ્લી ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ હાઈ-વોલ્ટેજ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સ્થાનિક સમય અનુસાર, મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારા આ મુકાબલાને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સ્ટેડિયમ ખીચોખીચ ભરેલો રહેવાની આશા છે.

આ ટૂર્નામેન્ટની 36મી મેચ હશે અને ગ્રુપ-એની છેલ્લી મેચ હશે. પાકિસ્તાન વિરૂદ્ધ મળેલી મોટી જીત બાદ ભારતીય ટીમનો ઉત્સાહ આસમાને છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચનો ઉપયોગ પોતાની બેંચ સ્ટ્રેન્થને અજમાવવા અથવા ખેલાડીઓને લયમાં રાખવા માટે કરી શકે છે. કેટલાક ખેલાડીઓ એવા છે, જેને હજુ સુધી પ્લેઈંગ ઇલેવનમાં મોકો નથી મળ્યો.