થરાદ: રાત્રે મહિલાની અટકાયતનો મામલો, તત્કાલીન PI સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ

March 13, 2026

થરાદ- થરાદની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા ફરજમાં બેદરકારી દાખવી મહિલાને ગેરકાયદે અટકાયતમાં રાખી શારીરિક-માનસિક ટોર્ચર કરનાર થરાદ પોલીસ સ્ટેશનના તત્કાલીન PI અલ્પેશકુમાર પટેલ સહિત ચાર પોલીસકર્મીઓ સામે સમન્સ ઈસ્યુ કરી ફોજદારી કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.
ફરિયાદી ખુશબુબેનના પતિ ઈરફાનશાનું સપ્ટેમ્બર 2025માં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ બાબતે શંકા રાખીને થરાદ પોલીસ દ્વારા ખુશબુબેનને પૂછપરછના બહાને બોલાવવામાં આવ્યા હતા. હુકમમાં જણાવ્યા મુજબ, 01 થી 04 નવેમ્બર, 2025 સુધી ખુશબુબેનને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે પણ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને પતિને ઝેર આપી મારી નાખ્યા હોવાની કબૂલાત કરવા દબાણ કરી પટ્ટા વડે તેમજ લાફા મારીને ગંભીર રીતે શારીરિક ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.
સમગ્ર મામલે કોર્ટે સીસીટીવી ફૂટેજ, મેડિકલ સર્ટિફિકેટ અને ડી.વાય.એસ.પી.ના તપાસ અહેવાલને ધ્યાને લીધા બાદ નોંધ્યું હતું કે, મહિલાને સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા પોલીસ સ્ટેશનમાં રાખવી એ કાયદાનું ઉલ્લંઘન છે. મેડિકલ રિપોર્ટમાં મહિલાના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે, જે પોલીસ ટોર્ચરની પુષ્ટિ કરે છે. આમ, સુપ્રીમ કોર્ટના 'ડી.કે.બાસુ' ચુકાદાની માર્ગદર્શિકાનો સરેઆમ ભંગ થયો છે.