સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી

February 14, 2026

નવી દિલ્હી : સરકારે શુક્રવારે ૨૫ લાખ ટન ઘઉંની અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી છે. તેની સાથે સરકારે ઘઉં અને ખાંડના ઉત્પાદનોના નિકાસની પણ છૂટ આપી છે. સ્થાનિક બજારોમાં પુરવઠો સ્થિર રાખવા અને ઘઉંનો જથ્થો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાની બાબતને ધ્યાનમાં રાખતા ખેડૂતોને સારું વળતર મળે તે હેતુથી આ છૂટ આપવામાં આવી છે. 

ખાનગી એકમો પાસે ૨૦૨૫-૨૬ દરમિયાન ઘઉંની ઉપલબ્ધતા ૭૫ લાખ ટન છે અને ત ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૩૨ લાખ ટન વધારે છે. આ સૂચવે છે કે દેશ વર્તમાન વર્ષમાં ઘઉંના પુરવઠાને લઈને આરામજનક સ્થિતિમાં છે, એમ ખાદ્યાન્ન મંત્રાલર્ય હતુ. પહેલી એપ્રિલ ૨૦૨૬ના રોજ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે ૧૮૨ લાખ ટન ઘઉંનો પુરવઠો ઉપલબ્ધ રહેશે તેમ માનવામાં આવે છે. તેના કારણે આ સંજોગોમાં નિકાસની મંજૂરી આપવામાં આવતા સ્થાનિક ફૂડ સિક્યોરિટી પર કોઈ વિપરીત અસર નહીં પડે.  

૨૦૨૬ની રવી સિઝનમાં ઘઉંની વાવણી વધીને ૩૩૪.૧૭ લાખ હેક્ટર થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળમાં ૩૨૮.૦૪ લાખ હેક્ટર હતી. આ દર્શાવે છે કે નિયત એમએસપી અને સંપાદન વ્યવસ્થાના લીધે ખેડૂતોનો આ પાકને લઈને વિશ્વાસ મજબૂત છે અને આ સીઝન પણ લણણીની વધુ એક મજબૂત સીઝન નીવડવાનો અંદાજ છે.