જનતા તથા વેપારી દાયકાઓ સુધી વિવિધ ટેક્સની જાળમાં ફસાયેલા હતા : PM મોદી

September 21, 2025

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GST સ્લેબમાં સુધારા લાગુ થયાના એક દિવસ અગાઉ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું, કે 'નવરાત્રિના પ્રથમ દિવસથી GST બચત ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. તમે તમારી મનપસંદ વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકશો. દેશના ગરીબ, મિડલ ક્લાસ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વેપારીઑને આ બચત ઉત્સવનો લાભ મળશે. તહેવારોની સિઝનમાં સૌ કોઈનું મોં મીઠું થશે.' 


PM મોદીએ વધુમાં કહ્યું, કે ભારતના દેશની જનતા તથા વેપારી દાયકાઓ સુધી વિવિધ ટેક્સની જાળમાં ફસાયેલા હતા. એક શહેરથી બીજા શહેરમાં માલ-સામાન પાઠવવો હોય તો અનેક મંજૂરીઓ લેવી પડતી તથા ટેક્સ ભરવા પડતાં. વિવિધ સ્થળો પર ટેક્સના જુદા જુદા નિયમો હતા. 2014માં એક કંપનીને કોઈ માલ-સામાન બેંગલુરુથી હૈદરાબાદ મોકલવો હોય તો, માલ-સામાન બેંગલુરુથી સીધું જ હૈદરાબાદ મોકલો તેની સરખામણીમાં માલ-સામાન પહેલા યુરોપ મોકલી ત્યાંથી હૈદરાબાદ મોકલવો સરળ પડતો. 


PM મોદીએ કહ્યું, કે 'દેશની વર્તમાન જરૂરિયાત અને ભવિષ્યના સપનાઓને જોતાં GSTમાં સુધારા લાગુ થશે. હવેથી માત્ર 5 અને 18 ટકા એમ બે જ સ્લેબ રહેશે. ખાણીપીણીનો સામાન, દવાઓ, સાબુ, બ્રશ, આરોગ્ય વીમા સહિત અનેક સામાન-સેવાઓ સસ્તી થઈ જશે. જે સામાન અગાઉ 12 ટકા ટેક્સ લગાવાતો હતો, તેમાંથી 99 ટકા વસ્તુઓ હવે 5 ટકા સ્લેબમાં સમાવાઈ છે. 
આ વર્ષે જ સરકારે 12 લાખ રૂપિયાની સુધીની આવક પર આવકવેરા પર રાહત આપી. હવે GSTમાં સુધારાના કારણે લોકોને ડબલ ગિફ્ટ મળી છે. ઘર માટે ટીવી, ફ્રિજ, બાઈક કે કાર ખરીદવી સસ્તી થઈ જશે. હવે ફરવા જવું પણ સસ્તું થઈ જશે કારણ કે હોટલ રૂમના ભાડા પર પણ GST ઘટાડવામાં આવ્યો છે. મને ખુશી છે કે આ સુધારાથી વેપારીઓ પણ ખુશ છે.