ગેરકાયદે વસાહતીઓ સામેના પગલાંના ભાગ રૂપે અમેરિકા 10,000 ભારતીયોને ભારત પાછા મોકલશે

December 14, 2024

વોંશિગ્ટન: અમેરિકાના નવનિર્વાચિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ તા. ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળશે પછી અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા તમામને તેઓના દેશોમાં પરત મોકલી દેવાશે. આ રીતે અમેરિકાના ઇતિહાસમાં હજી સુધીમાં નોંધાયેલું આ સૌથી મોટું ડીપોર્ટેશન (દેશ-નિકાલ) કરવાનું અભિયાન બની રહેશે. આ માટે અમેરિકાનાં ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અમેરિકામાં આશરે ૧૫ લાખ ગેરકાયદે વસાહતીઓ છે. તેઓને દેશ નિકાલ કરવા માટે વ્યવસ્થા વિચારાઈ રહી છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા અન્ય દેશોના વતનીઓમાં મેક્સિકો પ્રથમ ક્રમે છે તે પછી અલ સાલ્વાડોરના લોકો છે. જ્યારે ત્રીજા ક્રમે આશરે ૭,૨૫,૦૦૦ ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલા છે. તેમનો ૧૮૦૦૦નો જથ્થો સૌથી પહેલી ખેપમાં ભારત પરત મોકલવામાં આવશે તે માટે દસ્તાવેજીકરણ શરુ થઈ રહ્યું છે. ઉક્ત આઇસીઈ ડેટા પ્રમાણે પહેલાં જૂથમાં નવેમ્બર ૨૦૨૪માં મૂકેલી ગણતરી પ્રમાણે ૧૭,૯૪૦ ભારતીયોને સ્વદેશ પાછા મોકલવામાં આવશે. આ ડેટા રીલીઝ થયા તે પહેલાં પણ ઑક્ટોબર મહિનામાં અમેરિકાએ ચાર્ટર્ડ પ્લેન દ્વારા ગેરકાયદે ઘૂસેલા ભારતીયોને સ્વદેશ પરત મોકલી દીધા છે. ઑક્ટોબર ૨૨મીએ વિદાય કરેલી આ ફલાઇટ માટે ભારતે પણ પૂરો સહકાર આપ્યો હતો. તેમ ડીપાર્ટમેન્ટ ઑફ હોમ સિક્યોરિટી દ્વારા જણાવવામાં આવ્યું છે. બીજી તરફ હજારો ભારતીયો જેઓનું ડૉક્યુમેન્ટેશન થયું નથી તેઓ પોતાનું સ્ટેટસ લીગલાઈઝ કરવા મથી રહ્યા છે. આ પૈકીના ઘણાએ આઇસીઈ દ્વારા ક્લિયરન્સ મળે તેની રાહમાં બેઠા છે.