વિદ્યાર્થીઓના વિરોધની આશંકા વચ્ચે TISSએ CJI સૂર્યકાંતનું નામ યાદીમાંથી હટાવ્યું, ડો. સી. એસ પ્રમેશ રહેશે મુખ્ય અતિથિ

August 18, 2026

મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS)ના 86મા દીક્ષાંત સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવેલા ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત હવે હાજરી આપશે નહીં. સંસ્થાએ કાર્યક્રમ માટેના મુખ્ય અતિથિમાં ફેરફાર કર્યો છે. તેમના સ્થાને ટાટા મેમોરિયલ હોસ્પિટલના નિયામક ડૉ. સી. એસ. પ્રમેશને ચીફ ગેસ્ટ બનાવવામાં આવ્યા છે. TISSનો દીક્ષાંત સમારોહ હવે 22 ઓગસ્ટે યોજાશે.

આ કાર્યક્રમ મૂળ 2 ઓગસ્ટ, 2026ના રોજ યોજાવાનો હતો. તે સમયે CJI સૂર્યકાંતને મુખ્ય અતિથિ તરીકે અને બોમ્બે હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ જસ્ટિસ રવિન્દ્ર ઘુગેને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, સમારોહના માત્ર 48 કલાક પહેલાં TISSએ ઈમેલ દ્વારા કાર્યક્રમ મોકૂફ રાખવાની જાણકારી આપી હતી. સંસ્થાએ આ નિર્ણય પાછળ ‘અણધાર્યા સંજોગો’ને કારણ ગણાવ્યું હતું. હવે આ સમારોહ મુંબઈના દેઓનાર સ્થિત TISSના નૌરોજી કેમ્પસમાં શનિવાર, 22 ઓગસ્ટે યોજાશે.

કેમ્પસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉના કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન અથવા અન્ય કોઈ પ્રકારની અડચણ ઊભી થવાની આશંકા TISS પ્રશાસનને હતી. અહેવાલો મુજબ, જસ્ટિસ સૂર્યકાંતની બેરોજગાર યુવાનો અંગેની ‘કોકરોચ’વાળી ટિપ્પણીને તાજેતરના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો સાથે જોડવામાં આવી રહી હતી. આ દીક્ષાંત સમારોહમાં દેશભરના TISS કેમ્પસમાંથી ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. ચીફ ગેસ્ટમાં થયેલા આ ફેરફારને આ સમગ્ર ઘટનાક્રમ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

CJI સૂર્યકાંતને યુનિવર્સિટીઓના દીક્ષાંત સમારોહમાં આમંત્રિત કરવાના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. અગાઉ હૈદરાબાદની NALSAR યુનિવર્સિટીમાં 2026 બેચના 450થી વધુ વિદ્યાર્થીઓએ CJI સૂર્યકાંતને મુખ્ય અતિથિ બનાવવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. NALSARના આ મામલા બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI)ની કાર્યવાહી અને નિર્ણયોમાં થયેલા ફેરફારોને લઈને પણ ભારે વિવાદ સર્જાયો હતો. હવે TISSના દીક્ષાંત સમારોહમાં CJI સૂર્યકાંતના સ્થાને ડૉ. સી. એસ. પ્રમેશને ચીફ ગેસ્ટ બનાવવામાં આવ્યા છે.