ઝિમ્બાબ્વે સામે વૈભવ સૂર્યવંશીનું વાવાઝોડું: 31 બોલમાં ફિફ્ટી, ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી

July 26, 2026

દિલ્હી ઃ ઝિમ્બાબ્વે પ્રવાસ પર યુવા ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. સિરીઝની પ્રથમ મેચમાં પોતાની બેટિંગથી છાપ છોડ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ હવે ત્રીજી T20 મેચમાં પણ પોતાની તોફાની બેટિંગથી ઝિમ્બાબ્વેના બોલરોને બરાબરના ધોઈ નાખ્યા છે. તેણે માત્ર 31 બોલમાં પોતાના આંતરરાષ્ટ્રીય T20 કરિયરની બીજી અર્ધસદી પૂરી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી.


આ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેયસનું નસીબ આજકાલ ટોસના મામલે ખૂબ જ ઉત્તમ ચાલી રહ્યું છે. તેણે પોતાની છેલ્લી 10 મેચોમાંથી 9 વાર ટોસ જીત્યો છે. ટીમ કોમ્બિનેશનની વાત કરીએ તો ભારતે પ્લેઈંગ-11 માં 2 ફેરફાર કર્યા છે. પ્રિન્સ યાદવની જગ્યાએ અશોક શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે શિવમ દુબેની જગ્યાએ સૂર્યાંશ શેડગેને રમવાની તક મળી છે.
બીજી તરફ, ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ પણ ટીમમાં 1 ફેરફાર કર્યો છે. તેણે ઈજાના કારણે બહાર થયેલા રિચર્ડ એનગરાવાની જગ્યાએ અનુભવી સ્પિનર વેલિંગ્ટન મસાકાદઝાને ટીમમાં સામેલ કર્યો છે. જોકે, ભારતીય ઈનિંગ્સની શરૂઆત બહુ સારી રહી નહોતી. ઓપનર અભિષેક શર્મા સસ્તામાં પેવેલિયન ભેગો થયો હતો. ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારાબાનીએ અભિષેકને પોતાનો શિકાર બનાવ્યો હતો, જે 4 બોલમાં માત્ર 2 રન જ બનાવી શક્યો હતો.