ઝારખંડના લાતેહારમાં જાન લઇને જતી બસની બ્રેક ફેઇલ થઈ જતાં 9ના મોત, 80 ઇજાગ્રસ્ત

January 19, 2026

ઝારખંડના લાતેહારમાં લગ્નને લઇને જાન લઇ જઇ રહેલી બસ પલટી જતાં 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 80 લોકો ઘાયલ થયા. આ અકસ્માત મહુઆદંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો. બ્રેક ફેઈલ થવાને કારણે બસ નિયંત્રણ બહાર ગઈ હતી. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત મહુઆદંડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઓરસા બાંગ્લાધારા ખીણમાં થયો. પોલીસ અધિક્ષક (એસપી) કુમાર ગૌરવે જણાવ્યું હતું કે છત્તીસગઢના બલરામપુર જિલ્લામાંથી જાન લઇને જઈ રહેલી બસ લાતેહારના મહુઆદંડ આવી રહી હતી. બસ પલટી ગઈ, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. મૃતકોમાં ચાર મહિલાઓ હતી. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે લાતેહાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે વધુ લોકોના મોત થયા હતા જ્યારે ગુમલા સદર હોસ્પિટલમાં બે અન્ય લોકોના મોત થયા હતા. ગુમલા સિવિલ સર્જન શંભુનાથ ચૌધરીએ જણાવ્યું હતું કે નવ ઘાયલોને સદર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જેમાંથી બેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી હેમંત સોરેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટમાં લાતેહારના ડેપ્યુટી કમિશનરને ઘાયલોને યોગ્ય તબીબી સંભાળ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.

સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) વિપિન કુમાર દુબેએ જણાવ્યું હતું કે 60 ઘાયલોને મહુઆદંડ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં અને 20 થી વધુને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ગંભીર હાલતમાં રહેલા 32 લોકોને વધુ સારી સારવાર માટે રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS) મોકલવામાં આવી રહ્યા છે. મૃતકોની ઓળખ રેશાંતિ દેવી (35), પ્રેમા દેવી (37), સીતા દેવી (45), સોનમતી દેવી (55), સુખના ભુઇયા (40) અને વિજય ભુઇયા તરીકે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે લાતેહાર હોસ્પિટલમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ કરવામાં આવી રહી છે.