પાકિસ્તાન પર અફઘાનિસ્તાનનો હુમલો: ISISના આતંકી ઠેકાણા નષ્ટ કર્યાનો દાવો

June 19, 2026

કાબૂલ : અફઘાનિસ્તાને પાકિસ્તાનની અંદર ઘૂસીને એક મોટો હુમલો કર્યો છે. આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના જવાબમાં કરવામાં આવી છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે સવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે, અફઘાન દળોએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ એટલે કે ISIS-Kના આતંકી કેમ્પો અને ઠેકાણાઓ પર સફળ હુમલા કરીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. 


તાલિબાનના જણાવ્યા અનુસાર આ ઠેકાણાઓનો ઉપયોગ અફઘાનિસ્તાનની ધરતી પર હુમલાના ષડયંત્ર માટે થતો હતો. ગયા અઠવાડિયે નાંગરહાર અને પક્તિયામાં પાકિસ્તાની હવાઈ હુમલામાં અફઘાન મહિલાઓ અને બાળકોના મોત થયા હતા, જેના કારણે આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.

અફઘાન સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ, આ હુમલા બલૂચિસ્તાનના કિલ્લા અબ્દુલ્લા જિલ્લાના ગુલિસ્તાન વિસ્તાર, ચગાઈ જિલ્લાના શાકર આબ જંગલ વિસ્તાર અને ખૈબર પખ્તુનખ્વાની ઓરકઝઈ એજન્સીના કંબર ખેલ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. આ સ્થાનોનો ઉપયોગ ISIS-K દ્વારા ભરતી, તાલીમ અને ઉચ્ચ નેતાઓની અવરજવર માટે કરવામાં આવતો હતો.