ટીમ ઇન્ડિયામાં ઓલરાઉન્ડરની એન્ટ્રી, ચેન્નાઈ વનડે પહેલા BCCIનો મોટો નિર્ણય!

June 19, 2026

ઈજાના કારણે T20 વર્લ્ડ કપ અને IPL 2026 ગુમાવવી પડી હતી

ચેન્નાઈ- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે સીરિઝની છેલ્લી મેચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈમાં રમાનારા ત્રીજા અને અંતિમ વનડે મુકાબલા માટે યુવા ઓલરાઉન્ડર હર્ષિત રાણાને ભારતીય સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ શુક્રવારે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી છે. લાંબા સમયથી ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી દૂર રહેલો હર્ષિત રાણા હવે સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે અને તે ચેન્નાઈમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યો છે.


24 વર્ષીય હર્ષિત રાણા ચાલુ વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ સાઉથ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચ દરમિયાન ઘૂંટણની ઈજાનો ભોગ બન્યો હતો. આ ગંભીર ઈજાના કારણે તે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો અને ટીમમાં તેના સ્થાને મોહમ્મદ સિરાજને તક અપાઈ હતી. એટલું જ નહીં, આ ઈજાના કારણે તે IPL 2026માં પણ કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમી શક્યો ન હતો. ત્યારબાદ તેણે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રહીને પોતાનું રિહેબિલિટેશન પૂર્ણ કર્યું છે.


મહિનાઓ સુધી ક્રિકેટ મેદાનથી દૂર રહ્યા બાદ, હર્ષિત રાણાને આગામી ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની T20I સીરિઝ તેમજ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં ઓલરેડી પસંદ કરી લેવામાં આવ્યો છે. જોકે, શનિવારે ચેન્નાઈ વનડેમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે, તો તે આ આંતરરાષ્ટ્રીય પ્રવાસો પહેલાં જ મેદાન પર એક્શનમાં જોવા મળશે.