આંધ્રપ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં કોરોનાનું પુનરાગમન : પુણે શહેરમાં સૌથી વધુ કેસ

July 18, 2026

આંધ્રપ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ લગભગ 3 વર્ષની શાંતિ પછી કોરોના વાયરસે (કોવિડ-19) ફરી દેખા દીધી છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને પુણે શહેરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જોકે, રાહતની વાત એ છે કે સંક્રમિત થયેલા મોટાભાગના દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જ જોવા મળ્યા છે અને આરોગ્ય વિભાગ તેમજ નિષ્ણાતોએ હાલમાં કોરોનાની કોઈ નવી લહેર આવવાના સંકેતોને નકારી કાઢ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ 2026માં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 48 કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે, સદનસીબે આમાંથી એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. છેલ્લા 3 વર્ષથી આ વાયરસ રડારથી દૂર હતો, પરંતુ ચાલુ વર્ષે તેના કેસમાં ધીમો વધારો જોવા મળી રહ્યો છે. નોંધાયેલા કેસની માસિક આંકડાકીય માહિતી અનુસાર, જાન્યુઆરી મહિનામાં 3, ફેબ્રુઆરીમાં 1, જૂનમાં 11 અને જુલાઈ મહિનામાં સૌથી વધુ 21 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં નોંધાયેલા મોટાભાગના પોઝિટિવ કેસ કોરોનાના નિયમિત ટેસ્ટિંગ દરમિયાન નથી મળ્યા. પરંતુ જ્યારે દર્દીઓ અન્ય કોઈ બીમારીની સારવાર માટે ડોક્ટરની સલાહ મુજબ ટેસ્ટ કરાવે છે અથવા કોઈ સર્જરી પહેલા તેમનો પ્રી-ઓપરેટિવ ફિટનેસ ટેસ્ટ કરવામાં આવે છે, ત્યારે તેઓ કોરોના સંક્રમિત હોવાનું પ્રકાશમાં આવે છે. નિષ્ણાતોના મતે, આ વાયરસ હવે ઈન્ફલ્યુએન્ઝાની જેમ જ વર્તન કરી રહ્યો છે. લોકોમાં ઘટી રહેલી રોગપ્રતિકારક શક્તિ અને નવા વેરિઅન્ટના આગમનને કારણે દર 1 કે 2 વર્ષે કેસમાં આ પ્રકારનો વધારો થવો એકદમ સ્વાભાવિક પ્રક્રિયા છે.