આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી, ગૌરી સ્પ્રાટ સાથેના લગ્નને 'લવ જેહાદ' ગણાવ્યો

July 18, 2026

બોલિવૂડ અભિનેતા આમિર ખાન અને ગૌરી સ્પ્રાટના લગ્નને 'લવ જેહાદ' ગણાવીને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા તેમને ખુલ્લી ધમકી આપવામાં આવી છે. શનિવારે આ ગેંગ તરફથી એક ઓડિયો મેસેજ તેમજ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પત્રમાં ગેંગના સભ્યો આરઝૂ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બંને શખ્સોના નામે જારી કરાયેલા સંદેશમાં ચીમકી આપવામાં આવી છે કે આમિર ખાનનું આ કૃત્ય કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી સમયમાં તેને આકરો જવાબ આપવામાં આવશે.

આમિર ખાનને ટાર્ગેટ કરતા બિશ્નોઈ ગેંગે પોતાના પત્રમાં ગંભીર આરોપો લગાવ્યા છે કે આવા લોકો દેશમાં લવ જેહાદના નામે ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યા છે. ગેંગે આ લગ્નને દેશ અને સંસ્કૃતિ બંનેની વિરુદ્ધનું પગલું ગણાવ્યું હતું. વધુમાં, દેશવાસીઓને ખાતરી આપતા ગેંગના સભ્યોએ જણાવ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે, તેમને તેઓ પોતાની આગવી સ્ટાઈલમાં પાઠ ભણાવશે અને આ મામલે બહુ જલ્દી પરિણામ જોવા મળશે.

આમિર ખાન ઉપરાંત, આ જ પત્ર અને ઓડિયો મેસેજમાં રાજસ્થાનના ગંગાનગરમાં બનેલી એક ઘટના અંગે પણ સીધી ચેતવણી આપવામાં આવી છે. ગંગાનગરમાં એક યુવતી પર થયેલા બળાત્કારના કેસમાં દખલગીરી કરી રહેલા રાજકીય નેતાઓને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે આકરા શબ્દોમાં ધમકાવ્યા છે. ગેંગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે કોઈ પણ નેતાઓ આ ગંભીર કેસમાં વહીવટીતંત્રની કામગીરીમાં અડચણ ઊભી કરવાનો કે દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.