Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

ભાજપના પૂર્વ પ્રવક્તાને હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ થતાં જ હોબાળો, રાજકારણ ગરમાયું

August 06, 2025

સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ગત મહિને 28 જુલાઈના રોજ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને કર્ણાટક સહિત છ જુદી-જુદી હાઈકોર્ટમાં જસ્ટિસના પદ માટે અનેક વકીલો અને ન્યાયિક અધિકારીઓના નામની ભલામણ કરવામાં આવી છે. દેશના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈના નેતૃત્વ હેઠળ ત્રણ સભ્યોની કોલેજિયમે બોમ્બે હાઈકોર્ટના જજ માટે ત્રણ સોલિસિટર આરતી અરૂણ સાઠે, અજિત ભગવાનરાવ કડેથાંકર અને સુશીલ મનોહર ઘોડેશ્વરની ભલામણ કરી હતી. જેમાં આરતી અરૂણ સાઠેના નામ પર વિવાદ સર્જાતા રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રમાં વિપક્ષ એનસીપી (શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય અને પાર્ટી સચિવ રોહિત પવારે મંગળવારે સાઠેની ભલામણ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ન્યાયપાલિકા સ્વતંત્ર અને નિષ્પક્ષ હોવી જોઈએ. સાઠે શાસક પક્ષ ભાજપ સાથે જોડાયેલા હતા અને પક્ષના પ્રવક્તા પણ હતાં. આ અંગે માહિતી આપતાં પવારે એક સ્ક્રિનશોટ પણ પોસ્ટ કર્યો હતો. NCP ધારાસભ્ય પવારે સાઠેના નામની ભલામણનો વિરોધ કરતાં કહ્યું કે, 'જે વ્યક્તિ જાહેર મંચ પરથી શાસક પક્ષને ટેકો આપી રહી છે તેની હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક લોકશાહી માટે સૌથી મોટો ફટકો છે... ન્યાયાધીશનું પદ અત્યંત જવાબદારીનું પદ છે. તે નિષ્પક્ષ રહેવું જોઈએ. જ્યારે શાસક પક્ષના કોઈ વ્યક્તિને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવે છે, ત્યારે તે નિષ્પક્ષતા અને લોકશાહી પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તેઓ સાઠેની લાયકાત સામે વાંધો ઉઠાવી રહ્યા નથી.' પવારે માંગ કરી હતી કે ન્યાયાધીશ તરીકે સાઠેના નામની ભલામણ પર પુનર્વિચાર કરવો જોઈએ. ચીફ જસ્ટિસે પણ આ મામલે માર્ગદર્શન આપવું જોઈએ. બીજી તરફ, મહારાષ્ટ્ર ભાજપે રોહિત પવારના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે સાઠેને ન્યાયાધીશ બનાવવાની ભલામણ નિર્ધારિત માળખામાં યોગ્યતાના આધારે કરવામાં આવી છે. રાજ્ય ભાજપ મીડિયા સેલના પ્રભારી નવનાથ બાને જણાવ્યું હતું કે, 'આરતી સાઠેએ થોડા વર્ષો પહેલા જ ભાજપના પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે તેમનો પક્ષ સાથે કોઈ સંબંધ નથી. તેથી, હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની લાયકાત પર પ્રશ્ન ઉઠાવવાનું કોઈ કારણ નથી.'