ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો

May 08, 2025

ગુરુવારે રાત્રે પાકિસ્તાને સતત બીજા દિવસે ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા. આ હુમલાઓ જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને સુસાઈડ ડ્રોન અને મિસાઇલો છોડ્યા, જેને ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા.

જમ્મુ અને પઠાણકોટ પર સુસાઈડ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. પાકિસ્તાની ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા હતા.

આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. નિયંત્રણ રેખા (LoC) નજીક કુપવાડા અને બારામુલ્લામાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે, જેનો ભારતીય સેના જવાબ આપી રહી છે. સતવારી, સાંબા, આરએસ પુરા સેક્ટર અને અરનિયામાં 8 મિસાઇલો છોડવામાં આવી હતી. ભારતીય S-400 એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા પણ આને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

ઓપરેશન સિંદૂર પછીના દિવસે, એટલે કે બુધવાર-ગુરુવાર રાત્રે પાકિસ્તાને 15થી વધુ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતે રશિયા પાસેથી મળેલી S-400 ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ હુમલાને નિષ્ફળ બનાવ્યો.

બદલામાં, ભારતે ગુરુવારે સવારે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો. આ માટે ઇઝરાયલથી મળેલા હાર્પી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગુરુવારે બપોરે 2.30 વાગ્યે રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને પણ નિશાન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંડીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી. આ પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા.