બાંગ્લાદેશનો ભારત પર આરોપઃ 'તમે લઘુમતીઓના સંરક્ષણ બાબતે 'બેવડા ધોરણો' રાખો છો'

November 30, 2024

બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ભારતે પણ આ વિષયમાં ચિંતા વ્યક્ત કરી છે. એવામાં 29 નવેમ્બર, શુક્રવારના રોજ બાંગ્લાદેશે ‘ભારત લઘુમતી સમુદાયોના રક્ષણ બાબતે ‘બેવડા ધોરણો’ અનુસરતું હોવાના’ અને ‘ભારતનું મીડિયા બાંગ્લાદેશ વિશે ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન ચલાવતું હોવાના’ આરોપ લગાવી દીધા હતા. 

બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાયદા બાબતોના સલાહકાર આસિફ નઝરુલે એક ફેસબુક પોસ્ટમાં આરોપ લગાવતા લખ્યું હતું કે, ‘બાંગ્લાદેશ માટે ભારત ‘અયોગ્ય ચિંતા’ કરી રહ્યું છે. ભારતમાં લઘુમતી મુસ્લિમ સમુદાય પર ક્રૂરતાની અસંખ્ય ઘટનાઓ બની રહી છે. પરંતુ એનો તેમને કોઈ પસ્તાવો કે શરમ નથી. ભારતનું આ બેવડું ધોરણ નિંદનીય અને વાંધાજનક છે. બાંગ્લાદેશની બહુમતી (64.1%) માને છે કે વચગાળાની સરકાર અગાઉની અવામી લીગ સરકારની તુલનામાં દેશના લઘુમતી સમુદાયોને વધુ સારી સુરક્ષા પ્રદાન કરવામાં સક્ષમ છે.’

તાજેતરમાં બાંગ્લાદેશમાં ‘બાંગ્લાદેશ સંમિલિત સનાતની જાગરણ જોટે’ના પ્રવક્તા અને હિંદુ નેતા ચિન્મય કૃષ્ણ દાસ સહિત 19 લોકોની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર ચટ્ટોગ્રામના ન્યૂ માર્કેટ વિસ્તારમાં યોજાયેલી હિંદુ સમુદાયની રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. દાસના જામીન પણ નકારી દેવામાં આવ્યા હતા અને તેમને જેલમાં ધકેલી દેવાયા હતા, જેના કારણે તેમના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે બાંગ્લાદેશના પત્રકારોને વિનંતી કરતા કહ્યું હતું કે, ‘ભારતનું મીડિયા બાંગ્લાદેશનું ‘સત્ય’ છુપાવીને તેમને મનફાવે એમ ‘ખોટી માહિતી’ ફેલાવે છે. તમે એમનો સામનો કરીને આપણું સત્ય આપણી રીતે રજૂ કરો.’ 

ભૂતપૂર્વ પત્રકાર એવા આલમે જણાવ્યું હતું કે, ‘ઘણા બાંગ્લાદેશી પત્રકારોને હવે સમજાયું છે કે ભારતીય મીડિયા બાંગ્લાદેશ વિશે ખોટી માહિતી ફેલાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે. તેમનો સામનો કરવાનો સમય આવી ગયો છે.’

શફીકુલ આલમે જણાવ્યું હતું કે, ‘અમુક લોકોને લાગે છે કે ભારતીયો સ્માર્ટ છે, એવા લોકોને જાણ થાય કે સ્માર્ટ લોકો (ભારતની) પૂર્વ સરહદે પણ રહે છે. થોડા મહિના પહેલા એ જ સ્માર્ટ લોકોએ માનવ ઇતિહાસની ‘શ્રેષ્ઠ ક્રાંતિ’ કરીને એક ‘ક્રૂર સરમુખત્યારશાહી’ને હાંકી કાઢી હતી. જો તમે સત્યના પક્ષે હશો તો ખોટી માહિતી ફેલાવતી કોઈપણ ઝુંબેશ તમને રોકી શકશે નહીં.