પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં શાંતિ રેલીમાં વિસ્ફોટ, 7 લોકોના મોત અને 18 ઘાયલ

August 03, 2026

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયાના પ્રાથમિક અહેવાલ મળ્યા છે. ખૈબર પખ્તુનખ્વાના અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્વાત જિલ્લાના કાબલ શહેરમાં આયોજિત શાંતિ રેલીમાં વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સ્વાત રેલીમાં થયેલો વિસ્ફોટ આત્મઘાતી હુમલા જેવો લાગતો હતો, જોકે આ અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સ્વાતમાં આ શાંતિ રેલીનું આયોજન વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવાની માંગણી સાથે સ્વાત અમન જિર્ગા દ્વારા કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવ ટીમોએ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા, જ્યારે પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો. આ પહેલા 26 જુલાઈના રોજ પણ ખૈબર પખ્તુનખ્વામાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ઘટના પ્રાંતના બાજૌર જિલ્લાના સલારઝાઈ તાલુકામાં તાલી ડેમ નજીક બની હતી, જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતા.