કાફિરો સાથે દોસ્તી ન કરો : ભારત-અફઘાનની મિત્રતાથી પાકિસ્તાન અકળાયું

August 02, 2026

ભારત અને અફઘાનિસ્તાનના મજબૂત થઈ રહેલા સંબંધોને જોઈને પાકિસ્તાન ફરી એકવાર અકળાઈ ગયું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે બંને દેશો વચ્ચેની નિકટતા પર સવાલો ઉઠાવતા ધાર્મિક સંદર્ભોનો ઉપયોગ કર્યો છે. તાજેતરમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના એક મંત્રીએ ભારતનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારત અને અફઘાનિસ્તાનના લોકોનું DNA એક જ છે. તેમણે બંને દેશો વચ્ચેના જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોની વાત કરી હતી. તેમના આ નિવેદનથી પાકિસ્તાની સેના ભડકી ગઈ છે.


તાલિબાન મંત્રીના નિવેદન પર જવાબ આપતા પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાએ કુરાનની આયતનો ઉલ્લેખ કરી દીધો. તેમણે કહ્યું કે, મુસ્લિમોએ કાફિરો એટલે કે ગેર-મુસ્લિમોને પોતાના દોસ્ત કે રક્ષક ન બનાવવા જોઈએ. તેમણે કહ્યુ કે, 'અમે આભારી છીએ કે, તેમણે (અફઘાને) આ વાત સ્વીકારી લીધી. હું સામાન્ય અફઘાન લોકોની વાત નથી કરી રહ્યો, હું તાલિબાન સરકારની વાત કરી રહ્યો છું. સામાન્ય અફઘાન જનતા આ સરકારના અત્યાચારથી પરેશાન છે. બંનેનું DNA એક જેવું ન હોઈ શકે. પાકિસ્તાની પ્રવક્તા આટલેથી જ ન અટક્યા. તેમણે ભારતના શાસક પક્ષ BJP અને RSS પર પણ તીખા પ્રહાર કર્યા, તેમણે દાવો કર્યો કે, 'તાલિબાન અને ભારત વચ્ચે 'માલિક અને ગુલામ' જેવો સંબંધ છે. ભારતીય BJP અથવા RSS અને તાલિબાન શાસન વચ્ચેનો અસલી સંબંધ માલિક અને ગુલામનો છે. ભારતમાં દમનકારી વ્યવસ્થા તેમની માલિક છે, અને તેઓ તેના નોકર છે.' તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, તાલિબાન સરકાર ભારતના ઈશારે કામ કરી રહી છે. જોકે, ભારતે હંમેશાં પાકિસ્તાનના આ આરોપોને ફગાવી દીધા છે.
પાક સેનાના પ્રવક્તાએ તાલિબાન સરકાર પર પણ તીખા સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આ સરકાર મહિલાઓ અને બાળકો પર અત્યાચાર કરી રહી છે, અને બેઠા બેઠા ફતવા બહાર પાડે છે.