જુગાર રમતા બૂમ પડી ભાગો અને 3 લોકો કૂવામાં કૂદી જતાં મોત... ભાવનગરની ચોંકાવનારી ઘટના

August 18, 2026

વરતેજ : ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં જુગાર રમતી વખતે અચાનક ભાગોની બૂમો પડતાં સર્જાયેલી ભાગદોડમાં ત્રણ યુવકો કૂવામાં પડી જતાં મોત નીપજ્યાં છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

વાડી વિસ્તારમાં ચાલી રહ્યો હતો જુગાર

મળતી માહિતી અનુસાર, ઉખલા ગામના વાડી વિસ્તારમાં 11 જેટલા યુવકો જુગાર રમી રહ્યા હતા. મોડી રાત્રે અચાનક કોઈ કારણોસર ભાગો-ભાગોની બૂમો પડી હતી, જેથી પોલીસ આવી હોવાના કે અન્ય કોઈ ડરથી જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ ભાગદોડ દરમિયાન ત્રણ યુવકો કૂવામાં ખાબતા મોત નીપજ્યાં હતા.

મૃતક યુવકો નામ
•રાહુલ ચૌહાણ
•નિલેશ ડાભી
•અજીતસિંહ

આ કરૂણ બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો અને ગ્રામજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી.

વરતેજ પોલીસના જમાવ્યાનુસાર, ઉખરલા ગામે મોડી રાત્રે વાડી વિસ્તારમાં કેટલાક લોકો ભેગા થયા હતા. ત્યારબાદ સવારે વાડીમાં મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતાં ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા.

બીજી તરફ જુગાર રમતી વખતે પોલીસ રેડ થઈ હોવાના આક્ષેપો અંગે પી.એસ.આઈ.એ સ્પષ્ટતા કરતાં પોલીસે જણાવ્યું હતું કે, 'પોલીસે કોઈ રેડ કરી હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી અને સ્થળ પર કોઈ પોલીસ ટીમ ગઈ પણ નહોતી. વાડી વિસ્તારમાં આ યુવકો કયા કારણોસર ભેગા થયા હતા અને ઘટના પાછળનું સાચું કારણ શું છે તે અંગે તપાસ શરૂ કરી છે.'