દ.આફ્રિકા સામે કારમા પરાજય બાદ ગંભીર પર ભડક્યા ગાંગુલી,... અગાઉ કોહલી-ધોની જેવા દિગ્ગજોને પણ આડે હાથ લીધા હતા

November 17, 2025

દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 30 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની આ શરમજનક હાર પર સૌરવ ગાંગુલી નિરાશ છે. તેમણે આ હાર બાદ ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરની રણનીતિ પર નિરાશા વ્યક્ત અને તેમના પર ભડક્યા છે. આ પહેલી વાર નથી જ્યારે ગાંગુલીએ કોઈ ખેલાડી કે કોચ અંગે પોતાનું નિવેદન આપ્યુ છે. આ પહેલા પણ ગાંગુલી કેટલાક દિગ્ગજ ખેલાડીઓને આડે હાથ લઈ ચૂક્યા છે. જ્યારે વિરાટ કોહલીએ ટેસ્ટ મેચની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું ત્યારે ગાંગુલીએ તેમના વિશે એક મોટું નિવેદન આપ્યું હતું. ગાંગુલીએ ખુલાસો કર્યો કે BCCI 2022માં કોહલીના ટેસ્ટ કેપ્ટન પદેથી અચાનક રાજીનામું આપવા માટે તૈયાર નહોતું, કારણ કે તેણે વ્હાઈટ-બોલ કેપ્ટનશીપથી પોતાના મનથી રાજીનામું આપી દીધું હતું. કોહલીના રાજીનામાના થોડા દિવસો બાદ ગાંગુલીએ કહ્યું હતું કે, BCCI એ તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું પરંતુ કોહલીએ ઈનકાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે, કોહલીએ કહ્યું હતું કે, મને કેપ્ટનશીપ વિશે કોઈએ વાત નહોતી કરી. ગાંગુલીએ કોહલીના આ નિવેદનની ટીકા કરી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે જ્યારે શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન મળ્યું ત્યારે ગાંગુલીએ ભારતીય સિલેક્ટર્સને ફટકાર લગાવી હતી. ગાંગુલીએ એ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'શ્રેયસ અય્યર છેલ્લા એક વર્ષથી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે અને તેને આ ટીમમાં હોવું જોઈએ. તેને ટીમમાં સ્થાન ન મળવું એ ચોંકાવનારું છે. છેલ્લું એક વર્ષ તેના માટે શાનદાર રહ્યું છે, તે એવો ખેલાડી નથી જેને ટીમમાંથી બહાર રાખવામાં આવે. તે હવે દબાણમાં રન બનાવી રહ્યો છે, જવાબદારી લઈ રહ્યો છે અને શોર્ટ બોલ સારી રીતે રમી રહ્યો છે. જો સિલેક્શન મારા હાથમાં હોત તો હું ચોક્કસપણે તેને આ સીરિઝમાં સામેલ કરત, જેથી જોઈ શકું કે, તે શું કરી શકે છે.' પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ઈચ્છે છે કે, મોહમ્મદ શમી તમામ ફોર્મેટમાં ભારતીય ટીમમાં વાપસી કરે, કારણ કે તેમનું માનવું છે કે આ કુશળ ફાસ્ટ બોલર ફિટ છે અને શાનદાર બોલિંગ કરી રહ્યો છે. જોકે, અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ 35 વર્ષીય બોલરને અવગણ્યો છે, જે અંગે ગાંગુલીએ પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. ગાંગુલીએ સ્પષ્ટ કહ્યું હતું કે, 'શમીને ટીમમાં સ્થાન આપવાનું મને કોઈ કારણ દેખાઈ નથી રહ્યું. મને ખાતરી છે કે પસંદગીકારો જોઈ રહ્યા છે, અને તેની અને મોહમ્મદ શમી વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પરંતુ જો તમે મને પૂછો તો ફિટનેસ અને કૌશલ્યની દ્રષ્ટિએ આ એ જ મોહમ્મદ શમી છે જેને આપણે જાણીએ છીએ. તેથી મને કોઈ કારણ દેખાતું નથી કે તે ભારત માટે ટેસ્ટ મેચ, વન-ડે અને T20 ક્રિકેટ કેમ ન રમી શકે, કારણ કે તેની પાસે ઘણી ક્ષમતા છે.'