હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી પેટ કમિન્સ હતાશ, ટીમની ભૂલો ગણાવી

May 03, 2025

ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 38 રને હરાવી દીધુ હતું. આ હાર સાથે જ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. શુક્રવારે રમાયેલી IPL 2025ની 51મી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 224 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઈઝર્સ ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 186 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ માટે અભિષેક શર્માએ 41 બોલ પર ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા, પરંતુ તેની આ શાનદાર ઈનિંગ ટીમને જીત ન અપાવી શકી. આ મેચમાં મળેલી હારથી હૈદરાબાદની આશા પર પાણી ફરી વળ્યું છે અને તેની IPL 2025ની સફર લગભગ સમાપ્ત થઈ ગઈ છે.  હૈદરાબાદ અત્યાર સુધી 10 મેચોમાંથી માત્ર ત્રણ મેચ જીતી શક્યું છે અને પોઈન્ટ ટેબલ પર 9મા સ્થાન પર છે. ગુજરાત સામેની હાર બાદ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ નિરાશ દેખાયો. મેચ બાદ તેણે હાર માટે ખુદને પણ દોષી ઠેરવ્યો. ગુજરાત સામેની મેચ હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, અમે બેટિંગ કરતી વખતે પાવર પ્લેનો યોગ્ય રીતે ઉપયોગ ન કર્યો. અમે અમારી બોલિંગમાં 20-30 રન વધારાના આપ્યા અને ફિલ્ડિંગમાં કેટલીક મહત્વપૂર્ણ કેચ ડ્રોપ કરી, જેના કારણે અમે મેચમાં પાછળ રહી ગયા. મેચ પ્રેઝન્ટેશનમાં પેટ કમિન્સે કહ્યું કે, 'બોલિંગમાં અમે પાવરપ્લેમાં ઘણા રન આપ્યા. અમે થોડા ખરાબ બોલ પણ ફેંક્યા અને કેટલીક કેચ ડ્રોપ કરી જે અમને ભારે પડ્યું. તે એક સારી વિકેટ હતી અને અંતે અમારા બોલરોએ એક એવા ટોટલ પર તેમને અટકાવી દીધા હતા જ્યાંથી અમારા બેટ્સમેન મેચ બનાવી શકતા હતા. અહીં (અમદાવાદ)નો માહોલ ખૂબ સારો છે અને અહીં રમવાનો હંમેશા આનંદ આવે છે. આપણે આપણી અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે અને આગામી ત્રણ વર્ષ સુધી તે જ ખેલાડીઓ ટીમમાં રહેવાના છે, તો ભવિષ્યમાં સાથે મળીને ઘણું ક્રિકેટ એક સાથે રમવાનું છે.'