ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી 130થી વધુ લોકોનો બચાવ, Mi-17 V5, ALH અને ચીત્તા હેલિકોપ્ટર ખડે પગે

August 06, 2025

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. 200થી વધુ લોકો ગુમ થયાના સમાચાર છે. ભારતીય સેનાનું કહેવું છે કે 9 સૈનિકો પણ ગુમ થયા છે. વાદળ ફાટ્યા પછી ઘરો, દુકાનો, બજારો અને રસ્તાઓ ધોવાઈ ગયા છે. હવામાન ખરાબ છે, સતત વરસાદ પડી રહ્યો છે, તેથી બચાવ કામગીરી ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ધરાલી અને સુખી ટોપ વિસ્તારમાં બે વાદળ ફાટ્યા, જેની અસર ધરાલી ગામ પર જોવા મળી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને લોકોમાં ભયનો માહોલ છે

ઉત્તરકાશીમાં આ ઘટના બાદ મોટા પાયે શોધ અને રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાથી સવાર સુધી 130થી વધુ લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પાસેથી સતત સમાચાર મેળવી રહ્યા છે.

બચાવ કામગીરી હાથ ધરવા માટે ભારતીય સેના, ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP), રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની ઘણી ટીમો તૈનાત છે. ઉત્તરાખંડ સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 130થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.