'વિપક્ષ પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર', NDA સંસદીય દળની બેઠકમાં PM મોદીના પ્રહાર

August 05, 2025

સંસદ ભવનમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA સંસદીય દળની આજે બેઠક થઈ છે. આ બેઠક સંસદ ભવનના ઓડિટોરિયમમાં થઈ. જ્યારે પીએમ મોદી બેઠકમાં પહોંચ્યા ત્યારે NDA સાંસદોએ 'હર હર મહાદેવ' અને 'ભારત માતા કી જય'ના નારા સાથે તેમનું સ્વાગત કર્યું. તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ NDA સાંસદોએ પીએમ મોદીનું સન્માન કર્યું હતું અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીને હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું. આ ઉપરાંત NDA સંસદીય પક્ષની બેઠક શરૂ થાય તે પહેલાં, પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે, ભારતીય સેનાનું શૌર્ય અને પાકિસ્તાને ભારત પર કરેલા હુમલાને દુનિયા સમક્ષ લાવવા માટે મોકલવામાં આવેલા પ્રતિનિધિમંડળની બહાદુરી પર એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. NDA સંસદીય પક્ષની બેઠકમાં પસાર થયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે પહલગામ હુમલા માટે જવાબદાર 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF)ને અમેરિકા દ્વારા વિદેશી આતંકવાદી સંગઠન (FTO) અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી (SDGT) જાહેર કરવામાં આવ્યું છે, અને પહલગામ હુમલાની નિંદા કરતો BRICS સમિટમાં સંયુક્ત ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યો છે, જે પાકિસ્તાન દ્વારા તેની ધરતી પર ફેલાવવામાં આવી રહેલા આતંકવાદ સામે ભારતના રાજદ્વારી વલણની જીત દર્શાવે છે.NDAની બેઠકમાં 'ઓપરેશન સિંદૂર' અને 'ઓપરેશન મહાદેવ' પર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં પીએમ મોદી તેમજ ભારતીય સેનાને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા 7 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. NDA પાસે ઇલેક્ટોરલ કોલેજમાં સ્પષ્ટ બહુમતી હોવાથી, ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેના ઉમેદવારની પસંદગી માત્ર ઔપચારિકતા બની ગઈ છે.બીજેપી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીએમ મોદીએ NDA સંસદીય બેઠકને સંબોધિત કરતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાની માંગ કરીને મોટી ભૂલ કરી છે, આ ચર્ચામાં વિપક્ષ પોતાની જ ફજેતી કરાવી રહ્યો છે. એવો વિપક્ષ ક્યાં મળે કે જે પોતાના જ પગ પર કુહાડી મારવામાં માહેર હોય! વિપક્ષ રોજ આવી ચર્ચા કરાવે...આ અમારું ક્ષેત્ર છે અને ભગવાન અમારી સાથે છે.