વિશ્વ વિક્રમ માટેની તડામાર તૈયારીઓ, સરયુ ઘાટ પર આરતી સાથે રામનગરી ગુંજી ઉઠશે

October 18, 2025

રામનગરી અયોધ્યા ખાતે શનિવારે ભવ્ય દીપોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ તૈયારીઓ એક ખાસ કાર્યક્રમના ભાગ રૂપે કરવામાં આવી રહી છે. સરયુ ઘાટ પર 2,100 અર્ચકો એકસાથે આરતી કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે. હાલ ગિનિસ ટીમ અયોધ્યા ખાતે પહોંચી ગઈ છે જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા તરફ એક મોટું પગલું સાબિત થશે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કરવું એ ખરા અર્થમાં ગર્વની વાત કહેવાય છે ત્યારે અયોધ્યાનો સરયુ ઘાટ ઇતિહાસ રચવા માટે તૈયાર થઈ ગયો છે. શનિવારે રામનગરી અયોધ્યા આ દીપોત્સવ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણની જીવંત સાક્ષી બનવા જઈ રહી છે ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ આજે અયોધ્યા પહોંચી હતી અને સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ પણ કર્યું હતું.

મળતી માહિતી મુજબ આ કાર્યક્રમનું નેતૃત્વ નિશ્ચલ બારોટ કરી રહ્યા છે. આ મહા આરતી દરમિયાન તમામ અર્ચકોના કપડાં તેમના સંકલન અને તાલીમ પાર ખાસ ભાર મૂકવામાં આવશે. આ ભવ્ય કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે રિહર્સલ દરમિયાન, સરયુ ઘાટ પર શિસ્ત, ભક્તિ અને ભવ્યતાનું અનોખું મિશ્રણ જોવા મળ્યું હતું. હજારો ભક્તો સ્થળ પર આ નોંધપાત્ર ક્ષણના સાક્ષી બનશે. દીપોત્સવની આ ઉજવણી સાથે, અયોધ્યા ફરી એકવાર વિશ્વના નકશા પર ચમકશે.