બદ્રિનાથ ધામમાં દાન મામલે હોબાળો ! CCTVની તપાસ બાદ મંદિર સમિતિ એક્શનમાં

July 05, 2026

અયોધ્યા : અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે, હવે ઉત્તરાખંડના પ્રખ્યાત બદ્રીનાથ ધામમાં પણ દાન અને ચઢાવાના સંચાલન પર સવાલો ઉઠવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર કથિત ગેરરીતિઓના આરોપો વાઈરલ થયા બાદ BKTCએ સમગ્ર મામલાની તપાસ માટે કમર કસી છે.
BKTCના મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) સોહન સિંહ રાંગડે જણાવ્યું કે, સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે ચાર સભ્યોની તપાસ પેનલ બનાવી છે. આ સમિતિને 7 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોંપવા માટે નિર્દેશ અપાયો છે. રાંગડે જણાવ્યું કે, તપાસ સમિતિ મંદિર પરિસરના CCTV ફૂટેજ, સંબંધિત કર્મચારીઓના નિવેદનો અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓના આધારે સમગ્ર મામલાની તપાસ કરશે. સોશિયલ મીડિયા પર 2 જુલાઈથી વાઈરલ થઈ રહેલા આરોપોને ગંભીરતાથી લેવામાં આવ્યા છે. શરૂઆતના તબક્કે મંદિર પરિસરના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, પરંતુ વિડિયો સંપૂર્ણપણે સ્પષ્ટ નહોતો. ત્યારબાદ મામલાની ગંભીરતાને જોતા BKTC અધ્યક્ષને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, અને સંબંધિત કર્મચારીઓ પાસેથી સ્પષ્ટતા પણ માંગવામાં આવી છે.


આ મામલાએ ઉત્તરાખંડનું રાજકારણ પણ ગરમાવી દીધું છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગણેશ ગોદિયાલે બદ્રીનાથ ધામ સાથે જોડાયેલા આરોપોને અત્યંત ગંભીર ગણાવતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે માંગ કરી છે કે, તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ હોવી જોઈએ, અને જો કોઈ દોષિત સાબિત થાય તો, તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. શનિવારે તેમણે કોંગ્રેસના કાર્યકરો સાથે બાગેશ્વર સ્થિત બાગનાથ મંદિર પરિસરમાં આ કથિત ગેરરીતિઓના વિરોધમાં મૌન પ્રદર્શન પણ કર્યું હતું.


બીજી તરફ BKTC અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એક અન્ય દાવાને ફગાવી દીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, જે કર્મચારીને તેમના અંગત સચિવ કહેવામાં આવી રહ્યા છે, તે વાસ્તવમાં મંદિર સમિતિના નિયમિત સરકારી કર્મચારી છે. જો તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવશે, તો દોષિતો સામે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ અધિનિયમ, 1939 અંતર્ગત કડક વિભાગીય અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સોશિયલ મીડિયા પર કોઈ અફવા ન ફેલાવે.