વિરોધ એ નાગરિકોનો અધિકાર, સરકાર મુર્દાબાદ જેવી નારેબાજી કરવા સામે વાંધો શું? બોમ્બે હાઈકોર્ટ

July 03, 2026

મુંબઈ-બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં રાજકીય કાર્યકર્તા વિરુદ્ધના તડીપાર (જિલ્લાબદલી)ના આદેશને રદ કરી દીધો છે. કોર્ટે પોલીસની કડક શબ્દોમાં ઝાટકણી કાઢતા ટિપ્પણી કરી હતી કે, નાગરિકો સાથે 'ભારત સરકારના ગુલામો' જેવો વ્યવહાર કરી શકાય નહીં. જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે સોશિયલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI)ના જનરલ સેક્રેટરી સઈદ અહેમદ અબ્દુલ વાહીદ ચૌધરીની અરજી પર આ ચુકાદો આપ્યો હતો. ડિસેમ્બર 2025માં મુંબઈ પોલીસે સઈદ અહેમદને 12 મહિના માટે તડીપાર કરવાનો આદેશ આપ્યો હતો, જેને કોંકણ ડિવિઝનના કમિશનરે પણ માર્ચ 2026માં યથાવત રાખ્યો હતો. પોલીસે સીએએ (CAA) અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે કેન્દ્ર સરકારના નિર્ણયો વિરુદ્ધ દેખાવો કરવા બદલ નોંધાયેલી 5 એફઆઈઆરના આધારે આ કાર્યવાહી કરી હતી.


બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ જામદારે કહ્યું, 'અરજદારે માત્ર 'ભાજપ સરકાર મુર્દાબાદ' કે 'અમિત શાહ મુર્દાબાદ' જેવા નારા લગાવ્યા છે. નાગરિકો આવા નારા કેમ ન લગાવી શકે? દેખાવો કરવો એ નાગરિકોનો અધિકાર છે.પોલીસ પબ્લિક સર્વન્ટ (લોક સેવક) છે, મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીના સેવક નથી. બંધારણની કલમ 19 અને 21 નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સન્માન પૂર્વક જીવવાનો અધિકાર આપે છે. સરકારી નિર્ણયો સામે મોરચો કે ધરણાં યોજવા એ મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ તડીપાર કરવાનો આધાર બની શકે નહીં.'કોર્ટે પોલીસ દ્વારા સત્તાના દુરુપયોગને ફગાવી દઈને બંને નીચલી સત્તાવાળાઓના તડીપારના આદેશોને તાત્કાલિક અસરથી રદબાતલ જાહેર કર્યા છે