પશ્ચિમ બંગાળમાં ઓબીસી અનામતના નિયમોમાં મોટો ફેરફાર, 77 મુસ્લિમ સમુદાયોને યાદીમાંથી કરાયા બહાર

July 01, 2026

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં અન્ય પછાત વર્ગની અનામત વ્યવસ્થામાં ધરખમ ફેરફાર કરતા બે મહત્વપૂર્ણ સુધારા બિલ પસાર કરવામાં આવ્યા છે. કલકત્તા હાઈકોર્ટના મે 2024 ના આદેશનું પાલન કરીને રાજ્ય સરકારે 77 મુસ્લિમ સમુદાયોને પછાત વર્ગની યાદીમાંથી બહાર કરી દીધા છે. આ મોટા નિર્ણય બાદ હવે રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય માત્ર 66 વિશિષ્ટ સમુદાયોને જ આ અનામતનો લાભ મળશે.

નવી અમલમાં આવેલી વ્યવસ્થા મુજબ આ 66 જ્ઞાતિઓમાં 54 હિન્દુ અને 12 મુસ્લિમ સમુદાયોનો સમાવેશ થાય છે. આ કાયદાકીય ફેરફારથી અગાઉની તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા વર્ષ 2012 માં તૈયાર કરાયેલી યાદીને આપવામાં આવેલી વૈધાનિક માન્યતા સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે. અગાઉની સરકારમાં વર્ગ-એ હેઠળ 65 અને વર્ગ-બી હેઠળ 78 સમુદાયોને અનામત મળતી હતી, જેને હવે કાનૂની રીતે રદ્દ ગણવામાં આવશે. પછાત વર્ગ કલ્યાણ મંત્રી ગૌરીશંકર ઘોષે આ અંગે જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે પોતાના ચૂંટણી વચન મુજબ વર્ષ 1993 ની મૂળ યાદીને ફરીથી લાગુ કરી છે.

વિધાનસભામાં રજૂ કરાયેલા આ બંને સુધારા વિધેયકો થકી પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગને વધુ સત્તાઓ સોંપવામાં આવી છે. હવેથી અનામત અંગે આયોગની તમામ ભલામણો રાજ્ય સરકાર માટે બંધનકર્તા રહેશે. નવા નિયમો હેઠળ સરકાર આયોગની સલાહ લઈને જ અનામતની ટકાવારી નક્કી કરશે અને કુલ અનામતની મર્યાદા કોઈપણ સંજોગોમાં 50 ટકાથી વધવા દેવામાં આવશે નહીં. અગાઉની સરકારે આયોગની અવગણના કરીને નવી જ્ઞાતિઓ ઉમેરી હોવાથી હાઈકોર્ટે વર્ષ 2010 પછી આપવામાં આવેલા તમામ પ્રમાણપત્રો રદ્દ કર્યા હતા, જેની પૃષ્ઠભૂમિમાં આ નવો કાયદો ઘડવામાં આવ્યો છે.

રાજ્ય વિધાનસભામાં આ બિલો પસાર કરતી વખતે વિભાજન મારફતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુધારા બિલની તરફેણમાં 186 મતો પડ્યા હતા, જ્યારે વિરોધમાં માત્ર 17 મતો નોંધાયા હતા અને 6 સભ્યોએ મતદાન પ્રક્રિયાથી અંતર જાળવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં સત્તા પર આવેલી નવી ભારતીય જનતા પાર્ટીની સરકારે આ 66 પછાત વર્ગો માટેનું અનામતનું પ્રમાણ 17 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધું છે.