ઉત્તરાખંડમાં વધશે વરસાદનું જોર, રેડ એલર્ટ જાહેર, કેદારનાથ યાત્રા સ્થગિત

August 06, 2025

ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટના બાદ ઉત્તરાખંડમાં કુદરતી આફતોની સ્થિતિ ગંભીર બનતી જઇ રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે પ્રદેશના અનેક ભાગોમાં બુધવારે ભારેથી અતિ ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. બાગેશ્વર, કોટદ્વાર, ઉત્તરકાશી સહિતના વિસ્તારોમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. સ્થિતિ જોતા તંત્રએ કેદારનાથ યાત્રાને આજે અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. 

તીર્થ યાત્રીઓની સુરક્ષાને લઇને આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઇ છે. જો કે સેના દ્વારા 130 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘટનામાં અનેક લોકો ગુમ થયા હોવાનું પણ સામે આવ્યું છે. એસડીઆરએફ, એનડીઆરએફ અને સેનાની ટીમ રાહત અને બચાવ કાર્યમાં જોડાઇ છે.

ધરાલીમાં સેનાના 80 જવાનો રેસ્ક્યુ કાર્યમાં જોડાયા છે. હાલ પણ રેસક્યુની કામગીરી ચાલી રહી છે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે સાવધાની રાખે. બિનજરૂરી યાત્રા ન કરે. ભારે વરસાદને કારણે અનેક રસ્તા પર ભૂસ્ખલનને કારણે કાટમાળ ભેગો થઇ ગયો છે પરિણામે રોડ રસ્તા પણ બંધ થઇ ગયા છે.