TMCમાં બળવો તેજ, ઋતબ્રત બેનરજીના 50થી વધુ ધારાસભ્યોના સમર્થનના દાવાથી હલચલ

June 03, 2026

પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસમાં સર્જાયેલી આંતરિક તિરાડ હવે મહારાષ્ટ્રના રાજકીય મોડેલ તરફ આગળ વધી રહી છે. પાર્ટીમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય ઋતબ્રત બેનરજીએ વિધાનસભામાં 50થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી છે. જો તેમનો દાવો સાચો સાબિત થાય તો TMCમાં બે ફાડિયાં પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં જે રીતે એકનાથ શિંદે અને અજિત પવારના જૂથે પોતાની પાર્ટીના નામ અને પ્રતીક માટે કાનૂની લડાઈ લડી હતી, તેવી જ સ્થિતિ બંગાળમાં પણ સર્જાઈ શકે છે. 2/3 બહુમતીનો આંકડો પાર થવાથી પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ તેમને કાનૂની સુરક્ષા મળી શકે છે.

આ વિવાદની શરૂઆત 6 મેના રોજ થઈ હતી, જ્યારે ઋતબ્રત બેનરજી અને સંદીપન સાહાએ આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના ઠરાવ દસ્તાવેજ પર નેતા વિપક્ષ અને અન્ય હોદ્દેદારોના નામ નક્કી કરવા માટે તેમની સહીઓ બનાવટી રીતે કરવામાં આવી હતી. આ આક્ષેપ બાદ બંને નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ પાર્ટીની અંદર અભિષેક બેનરજીની નેતાગીરી અને IPACની વધતી દખલગીરીને લઈને પણ અસંતોષ હોવાનું કહેવાઈ રહ્યું છે. સોમવારે ધારાસભ્ય કુણાલ ઘોષે આરોપ લગાવ્યો હતો કે બળવાખોર નેતાઓ પાર્ટી તોડવાનું કાવતરું ઘડી રહ્યા છે, જ્યારે ઋતબ્રત બેનરજી અને સંદીપન સાહા અનેક ધારાસભ્યો સાથે મુલાકાત કરીને પોતાની તાકાત વધારવાના પ્રયાસમાં છે.

ઋતબ્રત બેનરજીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે પક્ષે તેમને કાઢી મૂક્યા હોવા છતાં તેઓ પોતાને હજુ TMCનો જ ભાગ માને છે. તેમણે દાવો કર્યો હતો કે વિધાનસભામાં અભિષેક બેનરજીની કોઈ હેસિયત નથી. વિધાનસભામાં TMCના કુલ 80 ધારાસભ્યો છે અને નવા જૂથને માન્યતા મેળવવા માટે 52 ધારાસભ્યોની જરૂર છે. રિજુ દત્તાએ પણ સ્વીકાર્યું છે કે ઋતબ્રત બેનરજી સાથે 59 ધારાસભ્યો છે. જો આ આંકડો સાચો સાબિત થાય તો પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આ જૂથ સુરક્ષિત ગણાશે અને પાર્ટીના નામ તથા ચૂંટણી પ્રતીક પર પોતાનો દાવો મજબૂત કરી શકશે.

બીજી તરફ મમતા બેનરજીની નજીક ગણાતા સાંસદ કલ્યાણ બેનરજીએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને સોભનદેવ ચટ્ટોપાધ્યાયને નેતા વિપક્ષ બનાવવાની માગ કરી છે. તેમણે આશિમા પાત્રા અને નયના બંદોપાધ્યાયને ડેપ્યુટી લીડર તેમજ ફરીહાદ હાકિમને ચીફ વ્હીપ બનાવવાની પણ ભલામણ કરી છે.