કૈલાશ માનસરોવર યાત્રા માર્ગમાં અચાનક ભૂસ્ખલન, 413 તીર્થ યાત્રીઓને બચાવાયા

August 06, 2025

હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. ગત મંગળવારે ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ઘણા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની આશંકા છે. બીજી તરફ, કિન્નૌરમાં કિન્નર કૈલાશ યાત્રાના માર્ગ પર અચાનક પૂર આવતા ઘણા યાત્રાળુઓ ફસાયા હતા.

આ ઘટના પછી તરત જ ITBP (Indo-Tibetan Border Police)એ બચાવ અભિયાન શરૂ કર્યું. તેમણે ઓછામાં ઓછા 413 લોકોને બચાવ્યા છે. આ પૂર તાંગલિંગ વિસ્તાર પાસે આવ્યું હતું, જેમાં ટ્રેકિંગના રસ્તાનો એક મોટો ભાગ તણાઈ ગયો હતો.

ITBP, ટ્રાવર્સ ક્રોસિંગ ટેકનિકનો ઉપયોગ કરીને યાત્રાળુઓને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જઈ રહી છે. આ અભિયાનની સંપૂર્ણ જવાબદારી એક ગેઝેટેડ અધિકારીએ લીધી છે, જેમાં 4 સબઓર્ડિનેટ ઓફિસર્સ અને 29 અન્ય લોકોએ NDRF સાથે મળીને મદદ કરી. ઘટના બનતા જ ITBP અને NDRFની ટીમોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી. હાલ રાહત અને બચાવ અભિયાન ચાલુ છે.