ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કૅપ્ટન, ગુજરાતના 2 ખેલાડીઓ

May 24, 2025

કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ બેટર વિરાટ કોહલીના ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ આજે ભારતીય ટેસ્ટ ક્રિકેટના નવા યુગની શરૂઆત થઈ રહી છે. બંનેની નિવૃત્તિ બાદ પહેલીવાર કોઈ નવી ટીમની જાહેરાત કરાઈ છે. આ સાથે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાને રોહિત શર્માની નિવૃત્તિ બાદ નવો કેપ્ટન પણ મળી ગયો છે. બીસીસીઆઈ તરફથી ઈંગ્લેન્ડના પ્રવાસે જનારી ટેસ્ટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ સાથે નવા કેપ્ટનનું નામ પણ જાહેર કરાયું છે.  ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે શુભમન ગિલ(કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ.રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ એસ્વરન, કરુણ નાયર, નિતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રૂવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે  ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની સ્કવૉડ પસંદ કરવા માટેની સમિતિમાં સેક્રેટરી દેવજીત સાઈકિયા અને અજિત અગરકર સહિતના અન્ય સભ્યો સામેલ હતા. ઉલ્લેખનીય છે કે નવી ટેસ્ટ ટીમમાં બે ગુજરાતી ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને સ્થાન અપાયું છે.  જોકે સ્ટાર બોલર મોહમ્મદ શમીને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. તે લગભગ બે વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમી શક્યો નથી કારણ કે ઈજાઓનો સામનો કરી રહ્યો છે.