એક એપ્રિલ, 2026થી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો : ઘરની ચીજવસ્તુઓ અંગે પૂછાશે

June 30, 2025

નવી દિલ્હી: વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરવાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે વસ્તી ગણતરી બે તબક્કામાં થવાની છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે આગામી વર્ષે ૧ એપ્રિલથી તેનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે.
આ તબક્કામાં લોકોને તેમના ઘરોમાં રહેલા વાહનો, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને અન્ય સુખ સુવિધાઓની વસ્તુઓ અંગે પૂછવામાં આવશે. આ માટે સેન્સસ કમિશનર અને રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરી કરાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં લોકોની રહેઠાણની સ્થિતિ અને સુખ સુવિધાની સામગ્રીની માહિતી લેવામાં આવશે. વસ્તી ગણતરીના બીજા તબક્કામાં ઘરમાં રહેતા પ્રત્યેક વ્યકિતની સામાજિક, આર્થિક અને અન્ય માહિતી એકત્ર કરવામાં આવશે. રાજ્યોના મુખ્ય સચિવોને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે નક્કી કરેલ તારીખથી પહેલા સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણતરી અધિકારીઓ અને કાર્યકરોના કામોની વહેંચણી કરવામાં આવશે. આ કાર્ય જિલ્લા સ્તરે કરવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે આ વખતની વસ્તી ગણતરીમાં જાતિની માહિતી પણ નોંધવામાં આવશે. વસ્તી ગણતરીના કાર્ય માટે ૩૪ લાખ સર્વે કરનારા અને સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવશે. આ લોકો ફીલ્ડનું કામ કરશે. આ ઉપરાંત ૩૦ હજાર વસ્તી ગણતરી અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આ અધિકારી વસ્તી ગણતરી દરમિયાન મળેલી માહિતીનો ડેટા તૈયાર કરશે. ત્યારબાદ માહિતીનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. ઓફિસ ઓફ રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરે લગભગ ત્રણ ડઝન પ્રશ્રો તૈયાર કર્યા છે. જે વસ્તી ગણતરી દરમિયાન લોકોને પૂછવામાં આવશે. આ સર્વેમાં દરેક વ્યકિતને ફોન, ઇન્ટરનેટ,વાન, રેડિયો, ટીવી, ફ્રિઝથી જોડાયેલી માહિતી માંગવામાં આવશે. આ ઉપરાંત લોકોને એ પણ પૂછવામાં આવશે કે ક્યાં પ્રકારના અનાજનો ઉપયોગ કરે છે, પીવાના પાણીનો સ્ત્રોત કયો છે. શૌચાલય, પાણીનો નિકાલ, સ્નાન અને રસોડામાં જોડાયેલ માહિતી લેવામાં આવશે. લોકોને એલપીજી અને પીએનજી કનેકશનની માહિતી પૂછવામાં આવશે. લોકોને એ પણ પૂછવામાં આવશે કે તેમણે છત, દીવાલો અને ફર્શ પર કઇ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. ઘરમાં કેટલા લોકો રહે છે. ઘરમાં કેટલા રૂમ છે. ઘરમાં કેટલા દંપતિ છે.  ઘરના વડા મહિલા છે કે પુરુષ. એક માર્ચ, ૨૦૨૭ સુધી વસ્તી ગણતરીનો અંતિમ તબક્કો પૂર્ણ થવાનો છે. ભારતમાં દર ૧૦ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે પણ આ વખતે કોરોનાને કારણે વસ્તી ગણતરીમાં વિલંબ થયો છે.