પાકિસ્તાનમાં બળવાની શક્યતા, ઈમરાને કહ્યું 'ગુલામીની સાંકળ તોડીશું

November 24, 2024

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી 'પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ' (PTI)એ ફરી એકવાર દેશમાં મોટા આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ઈમરાન ખાને સંદેશ આપ્યો છે કે, હવે ગુલામીની હથકડીઓ સહન નહીં કરે અને તેને ધરમૂળથી ઉખાડી નાખશે. તેમની આ જાહેરાત બાદ ઈસ્લામાબાદમાં પ્રસ્તાવિત દેખાવોને ધ્યાનમાં રાખીને સરકારે રવિવારે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.


ઈમરાન ખાને જનતાને "ગુલામીની બેડીઓ તોડવા" માટે એકજૂટ થવાનું આહ્વાન કર્યું છે. પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદમાં પીટીઆઈના વિરોધને રોકવા માટે રાષ્ટ્રીય રાજધાની તરફ જતા હાઈવે બંધ કરી દીધા હતા, ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓને આંશિક રીતે સ્થગિત કરી દીધી અને જાહેર પરિવહનને અટકાવી દીધું. ઠેર ઠેર કન્ટેનર ઉભા કરીને મહત્વના રસ્તાઓને પણ અવરોધિત કર્યા હતા. આ સાથે મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. 


પીટીઆઈના નેતૃત્વએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે દેખાવોનું આયોજન પ્લાન મુજબ રવિવારે કરાશે તેનો ઉદ્દેશ્ય સિદ્ધ ન થાય તે પહેલાં તે મોકૂફ પણ નહીં રખાય. પીટીઆઈના નેતાઓએ રવિવારે ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રીના આવાસ પર એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં આ દેખાવો અંગેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરે જણાવ્યું હતું કે તેઓ પ્રસ્તાવિત વિરોધની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે બપોરે 3 વાગ્યે સ્વાબી પહોંચશે અને ઇસ્લામાબાદ તરફ પાર્ટીની કૂચનું નેતૃત્વ કરશે.