દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 2.8ની તીવ્રતાના ભૂકંપથી રહેવાસીઓમાં ગભરાટ

January 19, 2026

ભારતની રાજધાની દિલ્હીમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ભૂકંપની તીવ્રતા 2.8 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ હાલ ઉત્તર દિલ્હીમાં હોવાનું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનું અનુમાન છે. ભૂકંપની ઘટનામાં અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. 

દિલ્હી-એનસીઆરમાં સવારે 8.44 વાગ્યે અચાનક ધરતી ધ્રુજવા લાગી હતી. જમીનમાં હળવું કંપન અનુભવતા લોકોમાં થોડો સમય ગભરાટ જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ સ્થિતિ થોડી સામાન્ય બનતા લોકોએ રાહતના શ્વાસ લીધો હતો. આ માહિતી મુજબ સોમવારે સવારે 8:44 વાગ્યે રાજધાની દિલ્હીમાં જમીનમાં હળવું કંપન જેવું લાગ્યું તે ભૂકંપનો આંચકો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર દિલ્હીમાં 5 કિલોમીટરની ઊંડાઈએ હતું. 

ભૂકંપના આંચકા એ વાતની યાદ અપાવે છે કે દિલ્હી-એનસીઆર ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ ઝોન 4 માં આવે છે. હાલમાં દિલ્હી-એનસીઆરમાં હળવો ભૂકંપનો આંચકો આવ્યો છે પરંતુ ગમે ત્યારે મોટો ભૂકંપ પણ આવી શકે છે. નિષ્ણાતો કહે છે કે નાના આંચકા પણ મોટા ભૂકંપનો સંકેત આપી શકે છે, તેથી લોકોએ તૈયાર રહેવું જોઈએ. અત્યાર સુધી કોઈ નુકસાન થયું નથી, પરંતુ આજે સવારના આંચકાએ લોકોને ડરાવી દીધા છે.