મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત

September 20, 2026

મુંબઈ : મુંબઈના લાલબાગ વિસ્તારમાં ગણપતિ ઉત્સવ દરમિયાન એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કાળાવચકીમાં દત્તારામ લાડ માર્ગ પર આવેલા કાળાવચકી વિભાગ સાર્વજનિક ઉત્સવ મંડળના પંડાલ પાસે અચાનક કરંટ ફેલાઈ ગયો હતો. રાત્રિના 3 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં વીજ કરંટ લાગવાથી 8 વર્ષની બાળકી સહિત બે લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે.


આ ગંભીર અકસ્માતમાં અન્ય ચાર લોકો ઘાયલ થયા છે, જેમાં કિરણઅકબર નાઈક, તન્વી નરેશ, સાહિલ સંદીપ તારે અને રૂહી સિંહનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને તાત્કાલિક ધોરણે બાયકુલાની મસીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. લાડબાગમાં ગણેશોત્સવ દરમિયાન દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટતી હોય છે, તેવામાં આ દુર્ઘટનાથી ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ લાલબાગચા રાજા પંડાલ પાસે પુણેના એક યુવકનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. પ્રશાસન દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.