મુંબઈથી બિહાર જતી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પટકાતા બે મુસાફરના મોત

October 19, 2025

મુંબઈ : મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી બિહાર જઈ રહેલી કર્મભૂમિ એક્સપ્રેસમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. નાસિક રોડ રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી ત્રણ મુસાફરો નીચે પટકાયા હતા, જેમાંથી બેના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ભયાનક અકસ્માત ભુસાવલ તરફ જતા રેલવે ટ્રેક પર થયો હતો. મૃતક બંને યુવકોની ઉંમર 30થી 35 વર્ષની વચ્ચે હોવાનું અનુમાન છે. ત્રીજા મુસાફરને ગંભીર હાલતમાં જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ ત્રણેય મુસાફરોની ઓળખ થઈ શકી નથી. પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં ભારે ભીડ હોવાને કારણે સંતુલન ગુમાવતા મુસાફરો નીચે પટકાયા હતા. તહેવારોની સિઝનમાં ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ રહે છે, જે ઘણીવાર આવા અકસ્માતોનું કારણ બને છે. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે આ મુસાફરો દિવાળીના તહેવાર માટે પોતાના ગામ જઈ રહ્યા હતા કે પછી બિહારમાં યોજાનારી આગામી ચૂંટણીમાં મતદાન કરવા માટે મુસાફરી કરી રહ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ ઓઢા રેલવે સ્ટેશનના મેનેજરે પોલીસને જાણ કરી હતી, જે બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પંચનામું તૈયાર કરી મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.