કિશ્તવાડમાં અચાનક પૂર કેમ આવ્યુ, વાદળ ફાટ્યુ કે ગ્લેશિયર તૂટ્યુ વૈજ્ઞાનિકો પરેશાન

August 18, 2025

14 ઓગસ્ટ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચાશોટી ગામમાં અચાનક પૂરથી ભારે વિનાશ થયો હતો. આ ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. સેંકડો લોકો ગુમ છે. પરંતુ આ પૂર કેવી રીતે આવ્યું? શું તે વાદળ ફાટવાથી થયું હતું કે કોઈ અન્ય કારણસર? ચાશોટીમાં હવામાન દેખરેખ કેન્દ્ર ન હોવાને કારણે સાચી માહિતી એકત્રિત કરવી મુશ્કેલ છે.

એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ ચાશોટીમાં કોઈ હવામાન દેખરેખ સ્ટેશન નથી, તેથી ઘટના દરમિયાન ત્યાં કેટલો વરસાદ પડ્યો તેનો કોઈ ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી. શ્રીનગરના હવામાન કેન્દ્રના ડિરેક્ટર મુખ્તિયાર અહેમદના જણાવ્યા અનુસાર, સેટેલાઇટ અને ડોપ્લર રડાર દર્શાવે છે કે ચાશોટીમાં ભારે વરસાદ પડ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ચાશોટીનો ઉપરનો વિસ્તાર લદ્દાખના ઝાંસ્કર પ્રદેશ સાથે જોડાયેલો છે, જ્યાં ગ્લેશિયર અથવા ગ્લેશિયર લેક (હિમનદી તળાવ) તૂટવાની શક્યતા છે, જે પૂરનું કારણ હોઈ શકે છે.

શ્રીનગરના હવામાન કેન્દ્રના ડ્યુટી ઓફિસર મોહમ્મદ હુસૈન મીર કહે છે કે પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવા સામાન્ય છે. જો આ પરિસ્થિતિ અડધા કલાક સુધી ચાલુ રહે, તો હવામાં ભેજ એટલો વધી જાય છે કે તે તેનું વજન સહન કરી શકતી નથી અને બધુ પાણી અચાનક 50 ચોરસ મીટરના નાના વિસ્તારમાં પડી જાય છે. મીર કહે છે કે તેથી નજીકના મોનિટરિંગ સેન્ટર પર વરસાદ ઓછો દેખાઈ શકે છે, પરંતુ ઘટના સ્થળે ભારે વરસાદ પડ્યો હોવો જોઈએ.