ખૈબર પખ્તૂનખ્વામાં 45 આતંકીઓનો કૂરદો, પાકિસ્તાની સેનાએ 19 સૈનિક ગુમાવ્યાં

September 14, 2025

ખૈબર પખ્તૂનખ્વા- પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં થયેલી અથડામણમાં 19 સૈનિકોના મોત થયા છે. બીજી તરફ પાકિસ્તાની સેનાએ દાવો છે કે 45 આતંકવાદીઓનો કૂરદો બોલાવી દીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે આતંકવાદીઓ સામે સંપૂર્ણ તાકાતથી જવાબ આપવાની વાત કહી છે.
પાકિસ્તાની સેનાના જણાવ્યા પ્રમાણે 10 થી 13 સપ્ટેમ્બર દરમિયાન ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ત્રણ અલગ અલગ હિસ્સોમાં થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 45 આતંકવાદીઓ માર્યા ગયા છે.
એક અહેવાલ પ્રમાણે વડાપ્રધાન શહબાઝ શરીફે આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર સાથે બન્નુની મુલાકાત લીધી હતી અને એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજરી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આતંકવાદ સામે પાકિસ્તાનનું અભિયાન સંપૂર્ણ તાકાતથી ચાલુ રહેશે અને કોઈ પણ પ્રકારની સમાધાન કે અસ્પષ્ટતાને સાંખી લેવામાં આવશે નહીં.


શહબાઝ શરીફે આરોપ લગાવ્યો કે, 'પાકિસ્તાનમાં હુમલાઓ માટે જવાબદાર આતંકવાદી નેતાઓ અને માસ્ટરમાઈન્ડ અફઘાનિસ્તાનની ધરતી પરથી પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યા છે.' આતંકવાદી ઘટનાઓમાં ઘૂસણખોર અફઘાન નાગરિકોની સંડોવણીનો દાવો કરીને, તેમણે હાલમાં પાકિસ્તાનમાં રહેતા ગેરકાયદેસર અફઘાનીઓને સ્વદેશ વાપસીની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. શહબાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદના મુદ્દા પર રાજકીયકરણ અને ભ્રામક નિવેદનોને નકારે છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન અને ફિલ્ડ માર્શલે ઘાયલ સૈનિકોને મળવા માટે બન્નુના સૈન્ય હોસ્પિટલ પણ ગયા હતા. 


બીજી તરફ પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPRના જણાવ્યા પ્રમાણે બજૌર જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન દરમિયાન 22 TTP વિદ્રોહીઓ માર્યા ગયા. સાઉથ વજીરિસ્તાન જિલ્લામાં 13 TTP આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે 12 સૈનિકોએ જીવ ગુમાવ્યા. લોઅર ડેર જિલ્લાના લાલ કિલા મેદાનમાં અન્ય એક ઓપરેશનમાં 10 આતંકવાદીઓ અને 7 સૈનિકો માર્યા ગયા. આ ઓપરેશનોમાં આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.