ભારે વરસાદની આગાહી વચ્ચે જાફરાબાદનો દરિયો તોફાની બન્યો: બંદર પર 3 નંબરનું સિગ્નલ

July 04, 2026

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે ગુજરાતના દરિયાકાંઠે ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતા પગલે હવામાન વિભાગે(IMD) આગામી પાંચ દિવસ એટલે કે 8 જુલાઈ 2026 સુધી 'ફિશરમેન વોર્નિંગ' એટલે કે માછીમારો માટેની ખાસ ચેતવણી આપી છે. આ દરમિયાન અમરેલીના જાફરાબાદના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે, ત્યારે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લામાં ચોમાસાની તોફાની બેટિંગના કારણે જાફરાબાદના દરિયો કરંટ જોવા મળ્યો છે. જેમાં જાફરાબાદ દરિયામાં ઊંચા મોજા ઉછળતાં દેખાયા છે, ત્યારે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે 3 જુલાઈ જ જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

આ દરમિયાન જાફરાબાદમાં માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 700થી વધુ બોટોને કિનારે લાંગરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા તેમજ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ(INCOIS) દ્વારા પણ 'હાઇ વેવ એલર્ટ' એટલે કે ઊંચા મોજાંની ખાસ ચેતવણી જાહેર કરાઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના દરિયામાં 3.2 થી લઈને 3.5 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળવાની આગાહી છે. કચ્છના દરિયામાં પણ 3.0 થી 3.1 મીટર ઊંચા મોજાં ઉછળશે.

તંત્ર દ્વારા તમામ બંદરો પર 'લોકલ કોશનરી સિગ્નલ નંબર 3' (LC-III) લગાવી દીધું છે. આમ, દરિયાકાંઠાના વિસ્તારોને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે માછીમારોએ આ સમયગાળા દરમિયાન દરિયામાં બિલકુલ ન જવા સૂચન કરવામાં આવ્યું છે.